PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને ઑસ્ટ્રિયા વચ્ચેના રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પૂરા થવાના અવસર પર આ મધ્ય યુરોપિયન દેશની મુલાકાત લેવી ખૂબ જ સન્માનની વાત છે. બંને દેશો સહયોગ વધારવા માટે નવા રસ્તાઓ શોધવા પર ચર્ચા કરશે. તેમણે આ વાત ઓસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહામરની સોશિયલ મીડિયા પોસ્ટના જવાબમાં કહી હતી. વડાપ્રધાન મોદી સોમવારે રશિયા અને ઓસ્ટ્રિયાના ત્રણ દિવસના પ્રવાસ પર રવાના થશે. આ દરમિયાન તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ખાસ કરીને સંરક્ષણ અને ઉર્જા ક્ષેત્રે વેપાર વધારવા પર વાતચીત કરશે.
રશિયાનો પ્રવાસ વર્તમાન સમયમાં ખૂબ જ મહત્વપૂર્ણ
દુનિયાની નજર પુતિન-મોદી બેઠક પર ટકેલી છે. 16 સપ્ટેમ્બર 2022 ના રોજ એસસીઓની બેઠક દરમિયાન બેઠક દરમિયાન મોદીએ પુતિનને કહ્યું હતું કે આ યુદ્ધનો સમય નથી. યુક્રેન યુદ્ધના પગલે આ નિવેદને વિશ્વભરનું ધ્યાન ખેંચ્યું હતું. યુક્રેન પર રશિયન હુમલા બાદ પીએમ મોદીની આ પ્રથમ રશિયાની મુલાકાત છે. જો કે, યુદ્ધ વચ્ચે, ભારતે પશ્ચિમી દેશોની નારાજગી છતાં રશિયા પાસેથી તેલ અને ગેસનો પુરવઠો ચાલુ રાખ્યો અને તટસ્થ દેશની ભૂમિકા ભજવી હતી.

