કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે નાગરિક સુધારા કાયદો (CAA)ને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે દેશમાં એક અઠવાડિયામાં CAA લાગુ કરવામાં આવશે. શાંતનુ ઠાકુરે પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાના કાકદ્વીપમાં એક કાર્યક્રમમાં કહ્યું કે, હું મંચ પરથી ખાતરી આપું છું કે આગામી 7 દિવસમાં આ કાયદો માત્ર બંગાળમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં લાગુ થઈ જશે.
આ કાયદા અંગે, તેમણે ગયા વર્ષે ડિસેમ્બરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ભાષણનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમાં અમિત શાહે નાગરિકતા સંશોધન કાયદાને ‘દેશનો કાયદો’ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે તેના અમલીકરણને કોઈ રોકી શકશે નહીં. ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પણ CAAને લઈને લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લાગ્યો હતો.
CAA કાયદો શું છેઃ-
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આ કાયદો લાવી હતી. આ કાયદા હેઠળ, 31 ડિસેમ્બર 2014 સુધી બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી ભારતમાં આવેલા અત્યાચારિત બિન-મુસ્લિમો (હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી) ને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. આ કાયદો ડિસેમ્બર 2019માં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. સંસદ દ્વારા પસાર થયા બાદ તેને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો. આ પછી દેશના અલગ-અલગ રાજ્યોમાં વિરોધનો સિલસિલો શરૂ થયો. આ મુદ્દાને લઈને દિલ્હીમાં પણ ઘણા મહિનાઓથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતા.
બંગાળે CAA વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો હતોઃ-
TMCની મમતા બેનર્જીની આગેવાની હેઠળની પશ્ચિમ બંગાળ સરકારે 2020માં CAA વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો હતો. આવો પ્રસ્તાવ લાવનાર પશ્ચિમ બંગાળ ચોથું રાજ્ય બન્યું છે. ત્યારે મમતા બેનર્જીએ જાહેરાત કરી હતી કે, “અમે બંગાળમાં CAA, NPR અને NRC લાગુ થવા દઈશું નહીં.

