વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને સંબોધિત કરતી વખતે દરેકને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. PMએ આગામી 25 વર્ષમાં ભારતને વિકસિત દેશ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. તેમણે કહ્યું કે ભારતે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે. હવે ભારત આગામી 25 વર્ષ માટે તૈયારી કરી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે અમારો ઉદ્દેશ્ય ભારતને તેની આઝાદીના 100 વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધીમાં વિકસિત દેશ બનાવવાનો છે.
પીએમ મોદીએ કહ્યું કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ આર્થિક વિકાસ અને રોકાણ માટે વૈશ્વિક પ્લેટફોર્મ બની ગયું છે. ભારત અને UAEએ ફૂડ પાર્કના વિકાસ, રિન્યુએબલ એનર્જીમાં સહયોગ અને હેલ્થકેરમાં રોકાણ માટે અનેક કરારો પર હસ્તાક્ષર કર્યા છે. તેમણે કહ્યું કે UAEની કંપનીઓ ભારતના પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે અબજો ડોલરનું રોકાણ કરવા સંમત થઈ છે. ભારત અને યુએઈએ તેમના સંબંધોને નવી ઊંચાઈએ લઈ ગયા છે.
પીએમ મોદીએ UAEના રાષ્ટ્રપતિને પોતાનો ભાઈ કહ્યો
વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે અમે આગામી 25 વર્ષમાં ભારતને વિકસિત દેશ બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. તેમણે સંયુક્ત આરબ અમીરાતના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને ભારત-UAE સંબંધોના ગાઢ થવાનો શ્રેય આપ્યો. PMએ કહ્યું કે ભારત ઝડપથી બદલાતી વિશ્વ વ્યવસ્થામાં વિશ્વ મિત્ર તરીકે આગળ વધી રહ્યું છે.
રસપ્રદ વાત એ છે કે પીએમ મોદીએ યુએઈના રાષ્ટ્રપતિને ભાઈ કહ્યા હતા. તેમણે કહ્યું કે નાહ્યાન ભારત આવ્યા તે તેમના માટે સન્માનની વાત છે. ગુજરાત સમિટમાં પીએમ મોદીએ કહ્યું કે તમામ મોટી રેટિંગ એજન્સીઓનું માનવું છે કે આગામી થોડા વર્ષોમાં ભારત વિશ્વની ત્રણ સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક બની જશે. તેમણે કહ્યું કે વિશ્વ ભારતને વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સ્થિરતા અને વૃદ્ધિના એન્જિનના એક મહત્વપૂર્ણ સ્તંભ તરીકે જુએ છે.

