ભાજપ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશની મત્વપુર્ણ બેઠક પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રીશ્રી અરૂણસિંહજી, પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકરજી, રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિત પ્રદેશના પદાધિકારીશ્રીઓ, જિલ્લાના પ્રમુખશ્રીઓ, જિલ્લાના પ્રભારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક અંગે પ્રદેશ પ્રવકતા શ્રી યમલભાઇ વ્યાસએ પત્રકાર પરિષદ સંબોધી હતી.
શ્રી યમલભાઇ વ્યાસે જણાવ્યું હતું કે, આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજીએ લોકસભા ચૂંટણી સંદર્ભેના મહત્વના કાર્યક્રમો અંગે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું. બુથને વધુમાં વધુ કેવી રીતે મજબૂત કરી શકાય તેમજ ચૂંટણીમાં વોટ શેર કેવી રીતે વધારવું તે અંગે પણ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય મહામંત્રીશ્રી અરૂણસિંહજી પાર્ટીને ચૂંટણીમાં કેવી રીતે સારુ પ્રર્દર્શન કરી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું તેમજ પ્રદેશ સગંઠન મહામંત્રીશ્રી રત્નાકરજીએ પણ સંગઠનલક્ષી માહિતી આપી આવનાર કાર્યક્રમોની માહિતીનું માર્ગદર્શન આપ્યું હતું.
શ્રી યમલભાઇ વ્યાસે વધુમાં જણાવ્યું કે, બેઠકમાં રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે રાજય સરકાર જનહિત માટેના કલ્યાણકારી કામનો માહિતી આપી હતી. રાજય સરકાર ગરીબ,છેવાડાના માનવીને પણ સરકારી યોજનાનો લાભ કેવી રીતે આપી રહી છે તે અંગે પણ માહિતી રજૂ કરી હતી. હાલ વિકસીત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે જેનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે જેથી સરકાર અને સંગઠન સાથે મળી જનતાને કેવી રીતે સરકારી યોજનાનો લાભ અપાવી શકાય તે અંગે પણ માહિતગાર કર્યા હતા.
પ્રદેશ મીડિયા કન્વીનરશ્રી ડો.યજ્ઞેશભાઇ દવેએ આગામી કાર્યક્રમો અંગેની માહિતી આપતા જણાવ્યું કે, આવનારા સમયમાં દરેક જિલ્લા અને મહાનગરોમાં લોકસભાની ચૂંટણી સંદર્ભે બેઠકો નું આયોજન કરવામાં આવશે તેમજ આજરોજ રજૂ કરેલ પ્રસ્તાવને આગામી ચાર દિવસમાં જિલ્લા અને મહાનગર કક્ષાએ અને ત્યાર બાદ 5 કે 6 જાન્યુઆરી સુઘીમાં મંડળ કક્ષાએ અનુમોદન કરવામાં આવશે. લોકસભા ચૂંટણીની તૈયારીને ધ્યાને રાખી આવતીકાલે વિવિધ મોરચાની સંયુકત બેઠક કાર્યાલય ખાતે યોજાશે અને ત્યાર પછી જિલ્લા માં અને મંડળ કક્ષાએ પણ મોરચાની બેઠકોનું આયોજન કરવામાં આવશે. લોકસભા પ્રચાર પ્રસારની ટીમ તૈયાર કરવામાં આવશે જે કેન્દ્રની સુચના પ્રમાણે રાજયમાં પણ પ્રચાર પ્રસારનું કામ કરશે.આવનાર 15 તારીખ થી 30 તારીખ સુધી લોકસભા ક્ષેત્રની અંદર લોકસભા ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવશે ત્યાર પછી ફેબ્રુઆરી મહિનામાં લોકસભા ક્ષેત્રના વિઘાનસભા ના કાર્યાલયો પણ શરૂ કરવામાં આવશે. આવનાર સમયમાં અનુસુચિત જાતિના સત્રસંવાદ, અનુસૂચિત જનજાતિના જનસંપર્ક સંમેલન, ઘર ઘર સંપર્ક અને ઓબીસી સમાજના સંમેલન,કિશાન ગ્રામ પરિક્રમા અને 26મી જાન્યુઆરીના રોજ યુવા મોરચા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે. સરકારી યોજનાનો લાભ ઘરે ઘરે પહોંચાડવા માટેના પ્રયત્નો મંડળ સ્તર સુધી કરશે. લોકસભા ચૂંટણીની સંચાલન સમિતિની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

