2000 Notes Closure: ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા બે હજાર રૂપિયાની નવી નોટ પાછી ખેંચી લેવાના નિર્ણય બાદ જ્વેલર્સ પાસેથી સોના-ચાંદીની ખરીદીને લગતી પૂછપરછમાં વધારો થયો છે. આપને જણાવી દઈએ કે, ચીન પછી ભારતમાં સોનાનો વપરાશ વિશ્વમાં સૌથી વધુ છે. આવી સ્થિતિમાં દેશમાં પણ સોનાના વેચાણમાં વધારો થવાની ધારણા છે. 30 સપ્ટેમ્બર 2023 સુધી બેંકમાંથી 2000 રૂપિયાની નોટ બદલી શકાશે. પરંતુ આ દરમિયાન કેટલીક બેંક શાખાઓએ 2000 રૂપિયાની નોટ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે.
23 મેથી શરૂ થશે નોટો બદલવાની પ્રક્રિયા
કેટલીક બેંકોએ ગેટ પર નોટિસ ચોંટાડી છે કે, 23 મેથી નોટો બદલવાની પ્રક્રિયા શરૂ થશે. બુલિયન ટ્રેડર્સ એસોસિએશનની સંસ્થા ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (All India Gem And Jewellery Domestic Council) એ જણાવ્યું હતું કે, જો કે, 2016માં નોટબંધી દરમિયાન જોવા મળેલી પરિસ્થિતિથી વિપરીત હવે સોનાની ખરીદીમાં કોઈ ગભરાટ નથી. ગ્રાહકના KYC ના કડક ધોરણોને કારણે છેલ્લા બે દિવસમાં 2,000 રૂપિયાની નોટ સામે સોનાની ખરીદી ઓછી રહી છે.
સોનાનો ભાવ 60,200 રૂપિયાના લેવલ પર પહોંચ્યો
સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, કેટલાક જ્વેલર્સે સોનાની ખરીદી પર 5-10 ટકા પ્રીમિયમ વસૂલવાનું શરૂ કર્યું છે, જેના કારણે પીળી ધાતુની કિંમત 66,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગઈ છે. હાલમાં દેશમાં સોનું 60,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે. ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (GJC) ના ચેરમેન સંયમ મહેરાએ જણાવ્યું હતું કે, 2 હજાર રૂપિયાની નોટ દ્વારા સોનું કે ચાંદી ખરીદવા અંગે ઘણી પૂછપરછ થાય છે, તેથી શનિવારે વધુ ગ્રાહકો દુકાનોમાં આવ્યા હતા. જો કે, કડક KYC નિયમોને કારણે વાસ્તવિક ખરીદીમાં ઘટાડો થયો છે.
શું છે આરબીઆઈનો આદેશ
રિઝર્વ બેંકના આદેશ મુજબ, 2000ની નોટ બેંક ખાતામાં 30 સપ્ટેમ્બર 2023 સુધી જમા કરાવી શકાય છે અથવા તમે કોઈપણ શાખામાં જઈને તેને બદલી શકો છો. જોકે, 30 સપ્ટેમ્બર 2023 પછી પણ 2000 રૂપિયાની નોટ ચલણમાં રહેશે. 2000 રૂપિયાની જે પણ નોટો બેંકોની શાખાઓમાં જમા કરવામાં આવશે, તે કરન્સી ચેસ્ટમાં મોકલવામાં આવશે. તે પછી તેમને આરબીઆઈ તરફ ફરીથી જારી કરવામાં આવશે નહીં.

