નીતીશ કુમારના હંમેશા ખાસ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી આરસીપી સિંહ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. નીતીશ કુમાર માટે આજનો દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. નીતીશ મુંબઈમાં ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારને મળવા જઈ રહ્યા છે ત્યારે દિલ્હીમાં તેમને આંચકો આપવાની તૈયારીઓ ચાલી રહી છે. જણાવી દઈએ કે ગત વર્ષે પણ JDUના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ આરસીપી સિંહ વિશે એવા સમાચાર આવ્યા હતા કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે.
ભાજપમાં જોડાવા સહિતના તમામ વિકલ્પો ખુલ્લા
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ઓગસ્ટમાં આરસીપી સિંહે મોટું નિવેદન આપ્યું હતું. બિહારમાં રાજકીય ઉથલપાથલના કેન્દ્રમાં રહેલા જેડીયુના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ આરસીપી સિંહે તે સમયે કહ્યું હતું કે તેઓ ઔપચારિક રીતે ભાજપમાં જોડાવા સહિત તમામ વિકલ્પો ખુલ્લા રાખી રહ્યા છે. અગાઉ RCP સિંહ પર JDU દ્વારા પાર્ટીમાં રહીને બીજેપી માટે કામ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તે દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તમે ભાજપમાં જોડાવા ઈચ્છો છો, તો તેમણે કટાક્ષ કર્યો, “શા માટે નહીં. મારી પાસે બધા વિકલ્પો ખુલ્લા છે.”
તમને જણાવી દઈએ કે, નોકરશાહમાંથી રાજનેતા બનેલા સિંહને જેડીયુએ રાજ્યસભામાં બીજા કાર્યકાળ માટે ઇનકાર કર્યા બાદ તેમનું મંત્રી પદ છોડવું પડ્યું હતું. તે દરમિયાન આરસીપી સિંહે નીતીશ પર પ્રહાર કરતા કહ્યું કે નીતીશ કુમાર સાત જન્મમાં પણ વડાપ્રધાન નહીં બની શકે.
વિપક્ષને એકત્ર કરવા નીતીશ મુંબઈ પહોંચ્યા
RCP સિંહના ભાજપમાં જોડાવાના અહેવાલો વચ્ચે, બિહારના મુખ્ય મંત્રી નીતીશ કુમાર અને નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ આજે મુંબઈમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવાર અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નેતા ઉદ્ધવ ઠાકરેને મળશે. JD(U)ના વડા નીતીશ કુમાર 2024ની લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP) સામે મજબૂત ગઠબંધન બનાવવા માટે વિપક્ષી નેતાઓને મળી રહ્યા છે.

