પંજાબના લુધિયાણામાં રવિવારે એક દર્દનાક અકસ્માત સર્જાયો છે. રહેણાંક વિસ્તારમાં એક ફેક્ટરીમાંથી ગેસ લીક થવાથી ઓછામાં ઓછા 9 થી વધુ લોકોના મોત થયા છે અને ઘણાની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. ઘણા લોકો પોતાના ઘરમાં જ છે પરંતુ, તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. પોલીસ, એનડીઆરએફ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને રાહત કામગીરી કરવામાં આવી રહી છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ગેસ લીક થવાને કારણે છ લોકોના મોત થયા છે અને ઘણાને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ છે. તેમણે વધુમાં કહ્યું કે, હાલ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને સ્થાનિક લોકોને સલામત સ્થળે ખસી જવા માટે કહેવામાં આવ્યું છે. જ્યારે જેમની હાલત ગંભીર છે તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે.
પીડિતોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કરનારા લગભગ 10 લોકોની હાલત ગંભીર છે. ગેસ પીડિતોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉપરાંત, આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો હતો, જેમાંથી કેટલાક લોકોએ પોતાનો જીવ બચાવવા માટે ઘર છોડી દીધું હતું.
NDRFની ટીમ લોકોને બહાર કાઢ્યા
એસડીએમ લુધિયાણા પશ્ચિમ સ્વાતિએ કહ્યું કે, ચોક્કસપણે આ ગેસ લીકનો મામલો છે. લોકોને બહાર કાઢવા માટે NDRFની ટીમો ઘટનાસ્થળે હાજર છે અને બચાવ કામગીરી ચાલી રહી છે. આ ઘટનામાં અત્યાર સુધી 9 લોકોના મોત થયા છે અને 11 જેટલા બીમાર છે.

