પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો SCO સમિટ એટલે કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં ભાગ લેવા ભારત આવશે. ઇમરાન ખાનની પાર્ટીએ તેમની ભારત મુલાકાતની આકરી ટીકા કરી છે. ઇમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઈન્સાફ એટલે કે પીટીઆઈના વરિષ્ઠ નેતા ફવાદ ચૌધરીએ બિલાવલના ભારત પ્રવાસના નિર્ણય પર ઝાટકણી કાઢી છે. ફવાદ ચૌધરીએ ટ્વીટ કર્યું કે ‘બિલાવલ ભુટ્ટોની ભારત મુલાકાત એ કાશ્મીરીઓના બલિદાનનું અપમાન હશે.’ ભુટ્ટો એવા સમયે ભારત આવી રહ્યા છે જ્યારે બંને દેશો વચ્ચેની મંત્રણા સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે અને હવે જમ્મુ-કાશ્મીરને ‘વિશેષ રાજ્ય’નો દરજ્જો પણ નથી.
અગાઉ ભારતની મુલાકાતને લઈને મૂંઝવણમાં હતું પાકિસ્તાન
અગાઉ, પાકિસ્તાન ભારતમાં SCO સમિટનો ભાગ બનશે કે નહીં તે અંગે મૂંઝવણમાં હતું. ભારતે પહેલા જ પાકિસ્તાનને આ સમિટમાં ભાગ લેવાનો સંદેશો મોકલી દીધો હતો, જેના પર પાકિસ્તાન મૂંઝવણમાં હતું. પરંતુ ગુરુવારે પાકિસ્તાનના વિભાગના પ્રવક્તા મુમતાબ ઝહરા બલોચે સ્પષ્ટ કર્યું કે બિલાવલ ભારતની મુલાકાત લેશે. ઇમરાનના નજીકના સહયોગી ફવાદ ચૌધરીએ કહ્યું કે કાશ્મીર મુદ્દાને બાજુ પર મૂકીને અને ભારત સાથે સહયોગને પ્રાથમિકતા આપવી એ આંતરરાષ્ટ્રીય એજન્ડાનો ભાગ છે. તેમણે કહ્યું કે આ એજન્ડાને પૂરો કરવા માટે પીડીએમ સરકાર પાકિસ્તાન પર લાદવામાં આવી છે.
પાકિસ્તાનને કઠપૂતળી દેશ બનવા નહીં દેવાય: ફવાદ ચૌધરી
ફવાદ ચૌધરીએ કહ્યું કે ‘PTI ભારત સહિત અન્ય દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધોના પક્ષમાં છે. પરંતુ ભારપૂર્વક કહ્યું કે ‘PTI પાકિસ્તાનને કઠપૂતળી દેશ બનવા દેશે નહીં’. SCO સમિટ ભારતમાં 4 અને 5 મેના રોજ યોજાશે. પાકિસ્તાની પ્રવક્તાએ કહ્યું કે ‘બિલાવલ ભારતના ગોવામાં આયોજિત ફોરેન મિનિસ્ટર્સ CFM કાઉન્સિલનો ભાગ હશે, જે SCO સમિટનો ભાગ હશે અને પાકિસ્તાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. બીજી તરફ બલોચે કહ્યું કે, ‘ભારતના વિદેશ મંત્રીના આમંત્રણ પર પાકિસ્તાનના વિદેશ મંત્રી કોન્ફરન્સમાં ભાગ લેશે. તાજેતરના વર્ષોમાં કોઈપણ પાકિસ્તાની નેતાની આ પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાત હશે.

