સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત સોમનાથ ખાતે નવી શિક્ષણનીતિ વિશે શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે પ્રકાશ પાડતા કહ્યુ કે, અંગ્રેજોએ ભારતની શિક્ષણ પ્રણાલીને તોડી હતી અને ભારતને ગુલામ બનાવ્યું હતું. માત્ર રોજગારલક્ષી શિક્ષણથી આગળ વધી કૌશલ્યલક્ષી શિક્ષણ નવી શિક્ષણનીતિ પ્રસ્થાપિત થશે. ભારતીય ગુરુકુળ પરંપરાને પુન:સ્થાપિત કરી ભારતીય શિક્ષણ પ્રણાલીને ફરી મજબૂત બનાવી શકાશે. ભારતીય શાસ્ત્ર પ્રમાણે શિક્ષણ પ્રણાલી દ્વારા પુરુષોને ૬૪ અને સ્ત્રીઓને ૭૨ કલાઓ શીખવવામાં આવતી હતી.
નવી નીતિ પ્રમાણે ફરીથી સંકલિત કરી અમલી કરવામાં આવશે અને આ દરેક પ્રયાસ દ્વારા ભારતના શ્રેષ્ઠપણાનો નવો ઇતિહાસ લખાશે. જે ઇતિહાસમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ એ સુવર્ણ અક્ષરે નોંધાશે, તેમ મંત્રીએ ઉમેર્યુ હતુ. કાર્યક્રમમાં રાજ્યના મંત્રીઓ, પદાધિકારીઓ અને નાગરિકો વચ્ચે ઓપન સેશન યોજવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્ર તમિલ સમુદાય દ્વારા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદીએ કાર્યક્રમની રુપરેખા આપી હતી. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના
કુલપતિ લલિત પટેલે સંસ્કૃત ભાષામાં સૌનું અભિવાદન કર્યુ હતુ. ગુજરાત શિક્ષણ યુનિવર્સિટી અને ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં વી.સી.ડો.હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે રાજ્ય પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, તાલાળા વિસ્તારના ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડ, હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ રામીબેન વાજા ઉપસ્થિત રહ્યા હતા.

