હવે જલ્દી અમદાવાદીઓ ફ્લોટિંગ રેસ્ટોરન્ટની પણ મજા માણી શકશે. શહેરની સાબરમતી નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટને તરતી મૂકવામાં આવી છે. જો કે, ફ્લોટિંગ રેસ્ટોરન્ટને લઈ આગામી એક મહિના સુધી અલગ-અલગ પરીક્ષણ કરવામાં આવશે. તમામ પરીક્ષણમાંથી પસાર થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન કરી શકે છે.
મીડિયા અહેવાલ મુજબ, નદીના વિસ્તારનો ઉપયોગ કરવા માટે ખાનગી એજન્સી વાર્ષિક રૂ. 45 લાખ AMCને ચૂકવશે. જણાવી દઈએ કે, બે ક્રેઈનની મદદથી આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટને પાણીમાં ઉતારવામાં આવી હતી. આ પ્રસંગે મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા અને તેમના દ્વારા પૂજા પણ કરવામાં આવી હતી.
CCTV કેમેરા, લાઇફ સેવિંગ કિટ અને લાઇટિંગની સુવિધા
માહિતી મુજબ, આ ફલોટિંગ રેસ્ટોરન્ટમાં એક સાથે 125થી 150 લોકો બેસી શકે તેવી સુવિધા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ માટે અક્ષર ટ્રાવેલ્સ પ્રા.લિ.ને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ દેશમાં પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ હશે જે નદીમાં કાર્યરત હશે. ફલોટિંગ રેસ્ટોરન્ટમાં સીસીટીવી કેમેરા, લાઇફ સેવિંગ કિટ અને લાઇટિંગ તેમ જ ડીજે સાઉન્ડનું સુવિધા રહેશે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટે ઉદ્યાનો અને બગીચાઓ, વોક વે, બાયોડાયવર્સિટી પાર્ક, ફૂડ કોર્ટ, ઇવેન્ટ સેન્ટર, ઘાટ વગેરેના સમન્વયથી એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવી છે. જે સુખ અને સમૃદ્ધિમાં વધારો કરે છે. આ પ્રોજેક્ટે એ લોકોને રિવરફ્રન્ટ પર આવવા અને મનોરંજન માટે એક વધુ નજરાણું ઉમેર્યું છે.

