અમદાવાદ સહિત રાજ્યભરમાં લોકો હાલ બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે રોગચાળો પણ વકર્યો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા અમુક દિવસથી તાવ, ઉધરસ, શરદી, ઝાડા-ઉલટીના કેસમાં સતત વધારો નોંધાયો છે. જ્યારે કોરોનાના કેસ પણ વધી રહ્યા છે. આથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)નું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હરકતમાં આવ્યું છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા એવા ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા એકમો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે.
40 લીટર ચાસણી, 30 કિલો કેરીનો રસ નાશ કરાયો
મળતી માહિતી મુજબ, એએમસીના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમોએ મંગળવારે શહેરના વિવિધ વિસ્તારમાં ઠંડાપીણાની લારી અને સ્ટોલમાં ચેકિંગ હાથ ધર્યું હતું. અધિકારીઓએ તરબૂચ, ફ્રૂટ જ્યૂસ, કેરી અને શેરડીના રસના સેમ્પલ લીધા હતા અને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા. રિપોર્ટ મુજબ, ચકાસણી દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 40 લીટર ચાસણી, 30 કિલો કેરીનો રસ, 15 કિલો કેરી અને 10 કિલો તરબૂચ મળી સડેલા ફ્રૂટનો નાશ કરી તેનું વેચાણ કરતા લોકોને દંડ ફટકાર્યો હતો.
અગાઉ ગંદકી કરનારા એકમો સીલ કરાયા હતા
ઉલ્લેખનીય છે કે, શહેરને સ્વચ્છ અને સાફ રાખવાની ઝૂંબેશ હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલા શહેરના વિવિધ વિસ્તારમાં સર્ચ ઓરપેશન હાથ ધરી વિભાગ દ્વારા જાહેરમાં કચરો અને ગંદકી કરનારા દુકાનો, ગોડાઉન, પાનના ગલ્લા, ચાની કીટલીઓ અને શોપિંગ શોપ સહિતના 59 જેટલાં કોમર્શિયલ એકમોને નોટિસ ફટકાવવામાં આવી હતી. આ સાથે સીલ કરવાની કાર્યવાહી પણ કરાઈ હતી.

