પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં શનિવારે કેટલાક અજાણ્યા લોકો દ્વારા એક ખ્રિસ્તી વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે, આ ઘટના મૃતકના ઘરે બની હતી. મૃતકની ઓળખ કાશિફ મસીહ તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું હતું કે, કાશિફ મસીહને કેટલાક અજાણ્યા વ્યક્તિઓએ ગોળી મારી હતી. જ્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો ત્યારે તે પોતાના ઘરમાં હાજર હતા. કાશિફ મસીહનું ગોળી વાગવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જો કે, આ ઘટના પરસ્પર અદાવતના કારણે બની છે કે પછી તેની પાછળનું કારણ કંઈક બીજું છે. તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે આરોપીની ઓળખ કરી લીધી છે અને તેને શોધી રહી છે.
24 કલાકમાં બીજી ઘટના
પેશાવરમાં છેલ્લા 24 કલાકમાં લઘુમતી સદસ્યોની ટાર્ગેટેડ હત્યાની આ બીજી ઘટના છે. આ પહેલા શુક્રવારે શીખ બિઝનેસમેન દિયાલ સિંહની પણ હત્યા કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે, આ ઘટના બપોરે 3 વાગે બની જ્યારે તે પોતાની મોટરસાઈકલ પર જઈ રહ્યા હતા, જે દરમિયાન તેમને ગોળી મારવામાં આવી હતી. આ સાથે પોલીસે જણાવ્યું કે, હુમલાખોરો ગુનો કર્યા બાદ તરત જ સ્થળ પરથી ભાગી ગયા હતા.
રમઝાન વટહુકમનું ઉલ્લંઘન બદલ હુમલો
એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લઘુમતી હિંદુ સમુદાયના દુકાનદારો પર ગયા અઠવાડિયે સિંધ પ્રાંતમાં “રમઝાન વટહુકમનું કથિત ઉલ્લંઘન” કરવા બદલ હુમલો કરવામાં આવ્યો હતો. લગભગ 15 હજાર શીખો પેશાવરમાં રહે છે, મોટાભાગે પ્રાંતીય રાજધાની પેશાવરના જોગન શાહ પડોશમાં રહે છે. પેશાવરમાં શીખ સમુદાયના મોટાભાગના સભ્યો વ્યવસાય સાથે સંકળાયેલા છે, જ્યારે કેટલાક દવાઓની દુકાનો પણ ધરાવે છે. પાકિસ્તાનના માનવાધિકાર આયોગના અંદાજ મુજબ, પાકિસ્તાનની 207 મિલિયનની વસ્તીમાં લગભગ 96 ટકા મુસ્લિમો, લગભગ 2.1 ટકા હિંદુઓ અને લગભગ 1.6 ટકા ખ્રિસ્તીઓ છે

