ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે તેવો દાવો રાજ્ય સરકાર દ્વારા વારંવાર કરવામાં આવતો હોય છે. પરંતુ, બીજી તરફ ભાજપના નેતાએ જ સગીર વિદ્યાર્થિનીની છેડતી કરી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. આશ્રયગૃહના સંચાલક અને નરોડા વોર્ડના ભાજપ યુવા મોરચા નેતા મયુરસિંહ વાઘેલાની નર્સિંગ વિદ્યાર્થીનીની છેડતી મામલે પોલીસે અટકાયત કરી છે.
આશ્રયગૃહમાં રહેતી સગીરા સાથે છેડતી કર્યાનો આરોપ
મીડિયા અહેવાલ મુજબ, મૂળ સાબરકાંઠાની સગીરા નર્સિંગ કોલેજના પહેલા વર્ષમાં ભણતી હોવાથી છેલ્લા બે મહિનાથી નરોડામાં આવેલા આશ્રયગૃહમાં અભ્યાસ અર્થે રહેતી હતી. આ આશ્રયગૃહના સંચાલક મયુરસિંહ વાઘેલા છે, જે ભાજપ યુવા મોરચા નેતા પણ છે. આશ્રયગૃહમાં રહેતી છોકરીઓની સુરક્ષાની જવાબદારી તેમના પર છે. પરંતુ તેમના પર જ છેડતીનો આરોપ લાગ્યો છે. આક્ષેપ મુજબ, લગભગ 15 દિવસ પહેલાં રાતના 10 વાગ્યાની આસપાસ આશ્રયગૃહમાં સગીરા જ્યારે તેના રૂમમાં હતી તે વખતે મયુરસિંહે સગીરાને તેની ઓફિસમાં બોલાવી હતી અને પછી ગાળો બોલી સગીરાનો હાથ પકડીને બાથ ભીડી લીધી હતી. ત્યાર બાદ સગીરા સાથે અશ્લિલ હરકતો કરી હતી. આથી ડરીને સગીરા ત્યાંથી ભાગી ગઈ હતી.
એટ્રોસિટી એક્ટ હોવાથી એસસી, એસટી સેલના ડિવાયએસપી દ્વારા તપાસ
મીડિયા રિપોર્ટ્સ મુજબ, મયુરસિંહે સગારીને આ વાત કોઈને ન કરવાનું કહી ધમકી આપી હતી. જો કે, સગારીએ તેના પિતાને ફોન કર્યો હતો, પરંતુ તે એટલી હદ્દે ડરી ગઈ હતી કે તેણે પિતાને આત્મહત્યા કરવા સુધીની વાત કરી હતી. જોકે પિતાએ દીકરીને સમજાવી હતી અને સંપૂર્ણ વાત કરવા જણાવ્યું હતું. ત્યાર બાદ સગીરાએ તેના પિતાને સંપૂર્ણ ઘટનાક્રમ અંગે જણાવ્યું હતું. સગીર દીકરીની આપવીતી સાંભળ્યા બાદ પિતાએ આ મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં મયુરસિંહ વાઘેલા સામે છેડતી, પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. નરોડા પોલીસે આ મામલે સોમવારે રાતે આરોપી નેતાની ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મીડિયા અહેવાલ મુજબ, એટ્રોસિટી એક્ટ હોવાથી આ અંગેની વધુ તપાસ એસસી, એસટી સેલના ડિવાયએસપી કરી રહ્યાં છે.

