વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ પર સતત હુમલો કરી રહ્યા છે. આમાં પણ તેઓ ખાસ કરીને કોંગ્રેસ પર પ્રહાર કરવાની એક પણ તક છોડતા નથી. તે દરેક સભા અને રેલીમાં કોંગ્રેસ અને તેના નેતાઓ પર આકરા શબ્દોમાં પ્રહાર કરે છે. નોર્થ ઈસ્ટમાં યોજાયેલી ચૂંટણી રેલીઓ હોય કે પછી ચૂંટણીમાં જીત પછી બીજેપી હેડક્વાર્ટરમાં આપેલા વિજય ભાષણનો પ્રસંગ હોય. દરેક પ્રસંગે તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે.
‘કોંગ્રેસ પાર્ટીના નેતા નરેન્દ્ર મોદીની કબર ખોદવામાં વ્યસ્ત’
આ ક્રમમાં આજે પણ પીએમ મોદીએ તીક્ષ્ણ તીર છોડ્યા હતા. આજે બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરવાનો પ્રસંગ હતો. ત્યાં બોલતા તેમણે કહ્યું, “જ્યારે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ નરેન્દ્ર મોદી માટે કબર ખોદવામાં વ્યસ્ત છે, ત્યારે હું બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવે પ્રોજેક્ટના અમલીકરણમાં વ્યસ્ત છું.” તેમણે કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ મારા અંતિમ સંસ્કારના સપના જોઈ રહ્યા છે, જ્યારે હું ગરીબોનું જીવન સુધારી રહ્યો છું અને દેશને આગળ લઈ જવાના સપના જોઈ રહ્યો છું.
‘કેટલાક કટ્ટર લોકો મારી કબર ખોદવાની વાત કરે છે’
પૂર્વોત્તરમાં જીત પછી, પીએમ મોદીનું સંબોધન દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં થયું હતું. તે દરમિયાન પણ તેમણે વિપક્ષી પાર્ટીઓ પર આ જ રીતે પ્રહારો કર્યા હતા. પછી તેમણે કહ્યું કે કેટલાક કટ્ટરપંથીઓ મારી કબર ખોદવાની વાત કરે છે. તેઓ મને મારવાની વાત કરી રહ્યા છે, પરંતુ આજના ચૂંટણી પરિણામોએ સાબિત કરી દીધું છે કે આખા દેશમાં મોદીનું કમળ ખીલી રહ્યું છે. આમ આદમી પાર્ટી પર આડકતરી રીતે પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે કેટલાક લોકો ‘મર જા મોદી-મર જા મોદી’ કહી રહ્યા છે, પરંતુ આજે દેશ કહી રહ્યો છે કે ‘મત જા મોદી-મત જા મોદી’

