ઈસ્લામાબાદની એક જિલ્લા અદાલતે સોમવારે તોશાખાના કેસમાં પીટીઆઈના અધ્યક્ષ ઇમરાન ખાનના બિનજામીનપાત્ર ધરપકડ વોરંટને યથાવત રાખ્યું છે. ભૂતકાળમાં આ કેસમાં તે સતત ગેરહાજર રહ્યા હતા, ત્યારબાદ ગયા અઠવાડિયે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું. આ અંગે તેમણે અરજી દાખલ કરી હતી, પરંતુ તેમની અરજી ફગાવી દેવામાં આવી છે અને તેમના બિનજામીનપાત્ર વોરંટને યથાવત રાખવામાં આવ્યું છે. આ રીતે ઇમરાન ખાનની કોઈપણ સમયે ધરપકડ થઈ શકે છે. સોમવારે એડિશનલ સેશન્સ જજ ઝફર ઈકબાલે પીટીઆઈ ચીફ દ્વારા તેમના વોરંટને રદ કરવાની અરજી પર દલીલો સાંભળી હતી. ત્યાર બાદ બિનજામીનપાત્ર વોરંટ યથાવત રાખવામાં આવ્યું. ઇમરાનની બિનજામીનપાત્ર વોરંટ રદ કરવાની અરજી ફગાવી દેવામાં આવી.
આ પહેલા ઇમરાન ખાનની ધરપકડને લઈને રવિવાર પાકિસ્તાન માટે કોઈ રાજકીય ડ્રામાથી ઓછો નહોતો. પોલીસ રવિવારે પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનની ધરપકડ કરવા પહોંચી હતી. પોલીસ પહોંચ્યા બાદ ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈના કાર્યકરો ઇમરાન ખાનના ઈસ્લામાબાદના નિવાસસ્થાને એકઠા થયા હતા. પાકિસ્તાની મીડિયા અનુસાર, પોલીસે કહ્યું હતું કે પૂર્વ વડાપ્રધાનની ધરપકડ કરવાની કોઈ યોજના નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિનજામીનપાત્ર વોરંટ સાથે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના ઘરે પહોંચેલી પોલીસ ખાલી હાથે પરત ફરી હતી. આ પછી ઇમરાન ખાન થોડા કલાકો પછી દેખાયા હતા. તેમણે લાહોરના જમાન પાર્કમાં પોતાની પાર્ટીના નેતાઓ, કાર્યકરો અને સમર્થકોને સંબોધિત કર્યા.
શું છે તોશખાના કેસ?
તોશખાના એ કેબિનેટનો એક વિભાગ છે જ્યાં વિદેશી સરકારો, રાજ્યના વડાઓ અને વિદેશી મહેમાનોની કિંમતી ભેટો રાખવામાં આવે છે. નિયમો હેઠળ, અન્ય દેશોના વડાઓ અથવા મહાનુભાવો પાસેથી મળેલી ભેટો તોશખાનામાં રાખવી જરૂરી છે. ઇમરાન ખાન 2018માં પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા હતા. આરબ દેશોની મુલાકાત દરમિયાન તેમને ત્યાંના શાસકો પાસેથી મોંઘીદાટ ભેટો મળી. જેમને ઇમરાને તોશખાનામાં જમા કરાવી હતી. પરંતુ બાદમાં ઇમરાન ખાને તેમને તોશખાનામાંથી સસ્તા ભાવે ખરીદી અને મોટા નફામાં વેચી દીધી હતી.

