કોંગ્રેસના નેતા અને વકીલ કૌસ્તવ બાગચીને શનિવારે (4 ફેબ્રુઆરી) મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ કથિત રીતે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ રૂ.1 હજારના અંગત બોન્ડ પર જામીન મળ્યા છે. બાગચીની શનિવારે સવારે 8.30 વાગ્યે બરતાલા પોલીસે ધરપકડ કરી હતી. બરતાલા પોલીસ સ્ટેશનની એક ટીમે સવારે 3.30 વાગ્યે રાજ્યના ઉત્તર 24 પરગણા જિલ્લામાં બેરકપુર ખાતે બાગચીના નિવાસસ્થાને દરોડો પાડ્યો અને તેમની ધરપકડ કરી હતી. સીએમ મમતા બેનર્જી પર તેમની કથિત ટિપ્પણી બદલ શુક્રવારે (3 માર્ચ) બાગચી વિરુદ્ધ બરતાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
કૌસ્તવ બાગચીએ શું કહ્યું?
મીડિયા રિપોર્ટ્સ મુજબ, કોંગ્રેસના નેતા બાગચીએ દાવો કર્યો હતો કે, સાગરદિઘી પેટાચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ પશ્ચિમ બંગાળ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અધીર રંજન ચૌધરી પર “વ્યક્તિગત હુમલો” કરવા બદલ તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીની વિરુદ્ધ બોલવાનો અને કથિત રીતે ટીકા કરવાનો તેના પર આરોપ મૂકવામાં આવ્યો હતો અને ધરપકડ કરવામાં આવી હતી. બાગચીની ધરપકડ દરમિયાન તેમની પોલીસ સાથે ઘણી દલીલબાજી થઈ હતી. આ પછી, જ્યારે તેને બરતાલા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા, ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ પોલીસ સ્ટેશનની બહાર વિરોધ કર્યો. વાસ્તવમાં પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં યોજાયેલી સાગરદિઘી વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસે જીત નોંધાવી છે. અહીંથી કોંગ્રેસના બાયરન બિસ્વાસ જીત્યા છે. બીજા નંબરે ટીએમસીના દેવાશિષ બેનર્જી હતા.
કઈ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો?
મીડિયા રિપોર્ટ મુજબ, બાગચી પર ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે, જેમાં 120(બી) (ગુનાહિત કાવતરું), 504 (શાંતિ ભંગ કરવા ઉશ્કેરવાના ઈરાદા સાથે ઈરાદાપૂર્વક અપમાન કરવું), 506 (ગુનાહિત ધાકધમકી) અને અન્ય કલમો શામેલ છે.

