સમાજમાં એકતા, સાદગી અને મજબૂત સામાજિક પરંપરાના સમન્વય સાથે ગાંધીનગર જિલ્લાના ગીયોડ મુકામે ૪૨ ગોળ આંજણા ચૌધરી સમાજ દ્વારા પાંચમા સમૂહલગ્ન મહોત્સવનું અત્યંત સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ‘એક માંડવો-એક સમાજ’ની ઉક્તિને સાર્થક કરતા આ પ્રસંગે ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લાના ચૌધરી સમાજની ૯ નવવધૂઓએ શાસ્ત્રોક્ત વિધિથી લગ્નગ્રંથિમાં જોડાઈ નૂતન જીવનની શરૂઆત કરી હતી.
મહોત્સવની વિશેષતાઓ:
-
ભવ્ય પ્રારંભ: કાર્યક્રમની શરૂઆત ઢોલ-નગારાના નાદ સાથે ભવ્ય જાન આગમન અને સામૈયા દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર વાતાવરણ મંગલમય અને ઉત્સાહથી ભરેલું જોવા મળ્યું હતું.
-
સન્માન સમારોહ: સમાજના આ ભગીરથ કાર્યમાં ઉદાર હાથે આર્થિક સહયોગ આપનાર દાતાઓ અને દીકરીઓને ભેટ આપનાર મહાનુભાવોનું સમાજ દ્વારા મોમેન્ટો, શાલ અને ગુલદસ્તો આપી ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું.
-
કરિયાવરની ભેટ: નવદંપતીઓને તેમના ગૃહસ્થ જીવનમાં ઉપયોગી થાય તેવી અંદાજે ₹૨ લાખની કિંમતની વિવિધ કરિયાવરની વસ્તુઓ દાતાઓ દ્વારા ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી.
“શિક્ષણ એ જ સમાજનું સાચું ઘરેણું”
આ પ્રસંગે ઉપસ્થિત આંજણા મહાસભાના કન્વિનર રેખાબેન ચૌધરીએ પ્રેરણાદાયી ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે:
“સમૂહલગ્ન એ સમયની માંગ છે. લગ્નના ખોટા અને ભપકાદાર ખર્ચાઓ અટકાવીને એ રકમનો ઉપયોગ દીકરીઓના ઉચ્ચ શિક્ષણ માટે કરવો જોઈએ. જ્યારે સમાજમાં શિક્ષણનો વ્યાપ વધશે, ત્યારે કુરિવાજો આપોઆપ દૂર થશે અને સંગઠન શક્તિ મજબૂત બનશે.”
વ્યવસ્થા અને સેવાભાવ:
આ માંગલિક પ્રસંગે અંદાજે ૮ હજારથી વધુ ભાઈ-બહેનોએ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. પ્રસંગમાં પધારેલા તમામ મહેમાનો માટે સુંદર ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના સ્વયંસેવકોએ રાત-દિવસ મહેનત કરી હતી.જેની ઉપસ્થિત સૌ કોઈએ સરાહના કરી આયોજક કમિટીને અભિનંદન પાઠવ્યા હતા.આ આયોજન દ્વારા ૪૨ ગોળ આંજણા ચૌધરી સમાજે સમાજમાં સાદગી અને કરકસરનો એક ઉત્તમ દાખલો બેસાડ્યો છે.
અહેવાલ : કલ્પેશ ચૌધરી

