કમોસમી વરસાદમાં થયેલા પાક નુકસાનીમાં 29.80 લાખમાંથી હજુ 3.39 લાખ ખેડૂતોને જ સહાય મળી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપી.તેમણે જણાવ્યું કે કમોસમી વરસાદમાં ખેડૂતોના પાકને થયેલા નુકશાન સામે તેમને મદદરૂપ થવાના આશય સાથે સરકારે રૂ.1૦,૦૦૦ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું.આ પેકેજ હેઠળ સહાય મેળવવા માટે અરજી પ્રક્રિયા પણ રાજ્ય સરકારે શરૂ હતી. રાજ્યનો કોઈપણ નુકશાનગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય તે માટે અરજી કરવાની સમય મર્યાદા પણ રાજ્ય સરકારે સાત દિવસ સુધી વધારી છે.
તેમણે ઉમેર્યું કે આ પેકેજ હેઠળ સહાય મેળવવા માટે ગામના VCE/VLE મારફત હજુ પણ અરજી પ્રક્રિયા ચાલી રહી છે. જે આગામી તા.5 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.અત્યાર સુધીમાં રાજ્યના ખેડૂતો દ્વારા સહાય મેળવવા માટે કુલ 29.80 લાખથી વધુ અરજીઓ કરવામાં આવી છે.કૃષિ વિભાગ દ્વારા તબક્કાવાર અરજીઓની ચકાસણી કરવામાં આવી રહી છે.ચકાસણી બાદ સહાયની રકમ સીધી ખેડૂતોના બેન્ક ખાતામાં જમા કરવામાં આવી રહી છે.આજદિન સુધીમાં કુલ 4.91 લાખથી વધુ નુકશાનગ્રસ્ત ખેડૂતોને સહાય આપવા માટે કુલ રૂ.1,497 કરોડથી વધુના બીલો તૈયાર કરવામાં આવ્યા છે.જે પૈકી અત્યાર સુધીમાં 3.39 લાખથી વધુ નુકશાનગ્રસ્ત ખેડૂતોના બેન્ક ખાતામાં રૂ.1098 કરોડથી વધુ સહાયની ચૂકવણી કરવામાં આવી છે. તેમ પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
બાકી ખેડૂતોને સહાય ક્યારે ચુકવાશે. આ મામલે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, બાકી રહેલા ખેડૂતોને પણ તબક્કાવાર તેમના બેંક ખાતામાં ઝડપથી સહાય ચૂકવવામાં આવશે.રાજ્યનો કોઈપણ નુકશાનગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે.
- Advertisement -
- Advertisement -