પુતિનની ભારત મુલાકાત પહેલા ભારતમાં તૈનાત થશે રશિયાની સેના, જાણો કેમ ?
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આગામી ભારત પ્રવાસ પહેલાં રશિયાની સંસદના નીચલા ગૃહ, સ્ટેટ ડ્યુમાએ, ભારત સાથેના મિલિટરી સહયોગ પરના એક કરારને મંજૂરી આપી દીધી છે.મંગળવારે સ્ટેટ ડ્યુમાના સંપૂર્ણ સત્રમાં આ સમજૂતીને મંજૂરી આપવામાં આવી હતી.
કરારનો હેતુ અને અમેરિકાની પ્રતિક્રિયા
આ સમજૂતીનો હેતુ બંને દેશોની સેનાઓ વચ્ચે થનારી ડ્રિલ, બચાવ અને માનવીય પ્રયાસોને સરળ બનાવવાનો છે.સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, આ કરાર રશિયા અને ભારતને એકબીજાની જમીન પર કાનૂની રીતે સૈનિકો અને લશ્કરી સામાન તૈનાત કરવાની પરવાનગી આપશે. માનવામાં આવે છે કે આ કરારથી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વધુ નારાજ થઈ શકે છે. જેમણે રશિયન તેલની ખરીદીને કારણે ભારત પર પહેલાથી જ 25 ટકાનો વધારાનો ટેરિફ લગાવેલો છે.
પુતિનના પ્રવાસનું મહત્ત્વ
રાષ્ટ્રપતિ પુતિન 4-5 ડિસેમ્બરના રોજ ભારતનો તેમનો દસમો પ્રવાસ કરશે.2021 પછીનો આ તેમનો પ્રથમ ભારત પ્રવાસ હશે.આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અનેક દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે.આ ચર્ચામાં રક્ષણ સહયોગ એજન્ડામાં ટોચ પર રહેવાની સંભાવના છે.ભારત અને રશિયા 1960ના દાયકાની શરૂઆતથી જ સંરક્ષણ ક્ષેત્રે ભાગીદારી કરી રહ્યા છે.રશિયા સહિત મિત્ર દેશોની સંરક્ષણ કંપનીઓને ભારતમાં ઘરેલુ હથિયાર બનાવતી કંપનીઓ સાથે કામ કરવા પ્રોત્સાહન આપીને ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને વેગ આપવાનો ભારતનો ઇરાદો છે.
S-400 મિસાઇલ સિસ્ટમ પર સંભવિત સમજૂતી
ક્રેમલિને આ પ્રવાસને ‘ખૂબ જ જરૂરી’ ગણાવ્યો છે. જે રાજકીય વેપાર-આર્થિક, વૈજ્ઞાનિક-તકનીકી અને સાંસ્કૃતિક-માનવતાવાદી ક્ષેત્રોમાં સંબંધોને મજબૂત કરવાની તક આપશે.અહેવાલો અનુસાર, ભારત મે મહિનામાં પાકિસ્તાન સાથેના સંઘર્ષ પછી પોતાનો સ્ટોક ફરી ભરવા માટે રશિયામાં બનેલી S-400 સરફેસ-ટુ-એર મિસાઇલ સિસ્ટમ માટે 300 મિસાઇલો ખરીદવા માંગે છે. ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન S-400 સિસ્ટમે પાકિસ્તાન સામે જબરદસ્ત શક્તિ પ્રદર્શન કર્યું હતું. એવી પણ સંભાવના છે કે ભારત S-400ની કેટલીક વધુ બેટરીની ખરીદી પર, તેમજ S-500 મિસાઇલ સિસ્ટમના સંયુક્ત વિકાસ અને અન્ય શસ્ત્રો પર પણ સમજૂતી કરી શકે છે.
- Advertisement -
- Advertisement -