પાકિસ્તાન: BLAએ 48 કલાકનું આપ્યું અલ્ટીમેટમ; 30 સૈનિકો માર્યા ગયા, 214 મુસાફરોને બનાવ્યા બંધક

બલુચિસ્તાન લિબરેશન આર્મીએ ભારે ગોળીબાર બાદ ક્વેટાથી પાકિસ્તાનના પેશાવર જતી ઝફર એક્સપ્રેસ ટ્રેનનો કબજો મેળવી લીધો. BLA એ ટ્રેન પરના હુમલા અને ત્યારબાદ સેના સાથેની અથડામણમાં 30 પાકિસ્તાની સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો છે. 214 લોકો પોતાની કસ્ટડીમાં હોવાનો દાવો કરતા BLAએ ચેતવણી આપી હતી કે,, જો સેના બંધકોને છોડાવવાનો પ્રયાસ કરશે તો તે બધાને મારી નાખવામાં આવશે.પોલીસે સ્વીકાર્યું છે કે ફક્ત 35 લોકોને બંધક બનાવવામાં આવ્યા છે. મોડી રાત સુધી બંને તરફથી ગોળીબાર ચાલુ રહ્યો હતો..પાકિસ્તાની સેનાએ 13 બલૂચ લડવૈયાઓને ઠાર મારવાનો દાવો કર્યો છે.
બીએલએએ મોડી રાત્રે જણાવ્યું કે,, આઠ કલાકની સતત લડાઈ બાદ પાકિસ્તાની સેના અને વાયુસેના પીછેહઠ કરી ચૂકી છે. સંગઠને ટ્રેન બંધકોને યુદ્ધ કેદીઓ ગણાવ્યા અને કહ્યું કે તે પાકિસ્તાન સરકારને યુદ્ધ કેદીઓની જેલમાં બંધ બલૂચ નેતાઓ અને બળજબરીથી ગાયબ થયેલા વ્યક્તિઓ સાથે આપ-લે કરવા માટે 48 કલાકનો સમય આપી રહ્યું છે. જો તેના લોકોને છોડવામાં નહીં આવે તો તે બધાને મારી નાખવામાં આવશે.
સરકારે કહ્યું કે નવ કોચવાળી આ ટ્રેનમાં 500 મુસાફરો હતા.એન્કાઉન્ટર પછી આમાંથી 80 લોકોને મુક્ત કરવામાં આવ્યા હતા.બલુચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રિંદે જણાવ્યું કે,, BLAએ ક્વેટાથી ખૈબર પખ્તુનખ્વામાં પેશાવર જતી ટ્રેનને પાટા પરથી ઉતારી દીધી હતી..પીરુ કોનેરી અને ગડવાલ વચ્ચે ટનલ નંબર 8 માં જાફર એક્સપ્રેસ પર ભારે ગોળીબાર થયો હતો.
રેલવે અધિકારીઓએ જણાવ્યું કે,, ડ્રાઇવરની હાલત ગંભીર છે. ઇમરજન્સી રિલીફ ટ્રેન ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.સરકારે મૃત્યુ અને બંધકોના કોઈ આંકડા આપવાનો ઇનકાર કર્યો છે. બલૂચ સરકારે આ વિસ્તારમાં કટોકટી લાદી દીધી છે..તમામ હોસ્પિટલોને એલર્ટ કરી દીધી છે.
પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીએ કહ્યું કે નિર્દોષ લોકો પર ગોળીબાર કરનારા ક્રૂર લોકો કોઈ પણ દયાને પાત્ર નથી.હુમલાખોરોનો સામનો કરવા માટે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. બચાવ કામગીરી માટે ગયેલા સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે, છેલ્લા આતંકવાદીને માર્યા જાય ત્યાં સુધી બચાવ કામગીરી ચાલુ રહેશે.
જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક એસપી વૈદે કહ્યું કે, પાકિસ્તાન ફરી એકવાર પતનની આરે છે. ત્યાંની સેના અને સરકારે બલુચિસ્તાન પરથી નિયંત્રણ ગુમાવી દીધું છે. સ્થાનિક સાંસદ મૌલાના ફઝલુર રહેમાને પાકિસ્તાનની સેનેટમાં નિવેદન આપ્યું છે કે,,રાજ્યના 6-7 જિલ્લાઓ સંપૂર્ણપણે આતંકવાદીઓના નિયંત્રણમાં છે અને સરકારનો કોઈ નિયંત્રણ નથી.
BLA એ દાવો કર્યો હતો કે બધા બંધકો આત્મઘાતી ટુકડી માજીદ બ્રિગેડની કસ્ટડીમાં હતા. ભીષણ લડાઈ ચાલુ છે..પાકિસ્તાની વાયુસેનાનો સામનો વિમાન વિરોધી બંદૂકોથી કરવામાં આવી રહ્યો છે. અમે દુશ્મનોને ભારે નુકસાન પહોંચાડ્યું છે…આપણા લડવૈયાઓ સતત પોતાની સ્થિતિ મજબૂત કરી રહ્યા છે. આ સંઘર્ષમાં અમારા કોઈ લડવૈયા માર્યા ગયા ન હતા.
બલુચિસ્તાન લિબરેશન આર્મીએ જણાવ્યું કે,,માજીદ બ્રિગેડને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે જો પાકિસ્તાની સેના તેમના સુધી પહોંચવાનો પ્રયાસ કરે તો બધા બંધકોને મારી નાખવા. તમારા છેલ્લા શ્વાસ સુધી દુશ્મન સામે લડો અને પીછેહઠ કર્યા વિના તમારા જીવનનું બલિદાન આપો.
દોઢ મહિના સુધી બંધ રહ્યા બાદ ગયા વર્ષે ઓક્ટોબરમાં જ ક્વેટા-પેશાવર રૂટ પર રેલ ટ્રાફિક ફરી શરૂ થયો હતો. આ રૂટ પરની ટ્રેનોને રોકેટ અને રિમોટ-કંટ્રોલ્ડ બોમ્બથી નિશાન બનાવવામાં આવી છે..દરેક વખતે BLA એ હુમલાઓની જવાબદારી સ્વીકારી છે. બલુચિસ્તાનની સ્વતંત્રતા માટે લડી રહેલા BLAને પાકિસ્તાન, બ્રિટન અને અમેરિકા દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોની યાદીમાં મૂકવામાં આવ્યું છે.
અફઘાનિસ્તાનની સરહદ પર આવેલું બલુચિસ્તાન પાકિસ્તાન સરકાર માટે સતત માથાનો દુખાવો રહે છે. નવેમ્બરમાં ક્વેટા રેલ્વે સ્ટેશન પર થયેલા વિસ્ફોટમાં 26 લોકો માર્યા ગયા હતા..જયારે 62 લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા.
- Advertisement -
- Advertisement -