બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ પોલીસકર્મીઓની વિધવાઓ સાથે વર્ચ્યુઅલ વાર્તાલાપ કર્યો.. જેમના પતિઓ વિરોધીઓના હુમલામાં માર્યા ગયા હતા.તેમણે બાંગ્લાદેશમાં વધતી જતી આતંકવાદી પ્રવૃત્તિઓની નિંદા કરીને કહ્યું કે, નોબેલ પુરસ્કાર વિજેતા યુનુસે દેશને આતંકવાદી રાજ્યમાં ફેરવી દીધો છે. આ દરમિયાન તેમણે વચન આપ્યું હતું કે પીડિત પરિવારોને મદદ કરવામાં આવશે અને હત્યારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
હું મૃત્યુનો બદલો લઈશ : શેખ હસીના
વિદ્યાર્થી આંદોલન દરમિયાન સિરાજગંજમાં પોલીસકર્મીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. હિંસા દરમિયાન અહીં ઘણા પોલીસ અધિકારીઓ માર્યા ગયા હતા. આ હિંસા પર શેખ હસીનાએ કહ્યું, “હું પાછી ફરીશ.. અને પોલીસકર્મીઓના મૃત્યુનો બદલો લઈશ.” તેમણે કહ્યું કે, યુનુસની વચગાળાની સરકારમાં એક સ્વ-ઘોષિત વિદ્યાર્થી નેતા છે જે કહે છે કે પોલીસકર્મીઓને માર્યા વિના કોઈ ક્રાંતિ થઈ શકતી નથી. “આપણે આ અરાજકતાનો અંત લાવવો પડશે,” તેમણે કહ્યું.
તે એક દિવસ કાયદાનો સામનો કરશે : શેખ હસીના
શેખ હસીનાએ ગયા વર્ષે 5 ઓગસ્ટના રોજ થયેલી હિંસામાંથી બચવાનો પોતાનો અનુભવ શેર કર્યો હતો. તેણીએ કહ્યું, “અલ્લાહે મને બીજું જીવન આપ્યું છે અને હું માનું છું કે તે એક હેતુ માટે છે.” હસીનાએ કહ્યું કે જેમણે બાંગ્લાદેશને આતંકવાદી રાજ્ય બનાવ્યું છે અને જેના કારણે માનવાધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તેઓ એક દિવસ કાયદાનો સામનો કરશે.

