પ્રયાગરાજ જતી ટ્રેન પકડવા માટે એકઠા થયેલા મુસાફરોની ભારે ભીડને કારણે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર નાસભાગ મચી ગઈ હતી..જેના કારણે 17 લોકોના મોત થયા હતાં..શનિવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ થયેલી નાસભાગમાં 20 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે..ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
શનિવાર-રવિવારની રજાને કારણે, હજારો ભક્તો મહાકુંભમાં જવા માટે પહોંચ્યા હતાં..ત્યારે સ્ટેશન પર અંધાધૂંધી હતી. ભીડને કાબુમાં લેવા માટે પૂરતા સ્ટાફના અભાવે પરિસ્થિતિ કાબુ બહાર ગઈ હતી ભીડ એકબીજા પર ચઢવા લાગી હતી.ખાનગી હોસ્પિટલના ઇમરજન્સી વિભાગના વડાએ 15 લોકોના મોતની પુષ્ટિ કરી છે.
મૃતકોમાં 11 મહિલાઓ અને 3 બાળકોનો સમાવેશ થાય છે. રેલવેએ અકસ્માતની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. રાહત માટે NDRFની ટીમ પણ સ્ટેશન પર પહોંચી ગઈ. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે આખી ટીમ અસરગ્રસ્ત લોકોને મદદ કરવામાં વ્યસ્ત છે.
ફાયર વિભાગે જણાવ્યું કે શનિવારે રાત્રે 9:55 વાગ્યે પ્લેટફોર્મ નંબર 14-15 પર નાસભાગ મચી ગઈ હતી. ચાર વાહનો સાથે સ્ટાફને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યો હતો. પ્રયાગરાજ જઈ રહેલા એક ભક્તે જણાવ્યું કે શિવગંગા એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 12 પર જઈ રહી હતી. ટ્રેન રવાના થતાં જ, આખી ભીડ પ્લેટફોર્મ 14-15 પર ભેગી થઈ ગઈ.
પ્રયાગરાજ જતી મોટાભાગની ટ્રેનો અહીંથી જતી હોય છે. પ્લેટફોર્મ ભીડને સંભાળી શક્યું નહીં અને નાસભાગ મચી ગઈ. ભીડ એસ્કેલેટર અને સ્ટેશનના દરવાજા તરફ દોડી ગઈ. આ કારણે ઓવરબ્રિજ અને સીડીઓ પર ભીડ વધી ગઈ. તે જ સમયે, રેલ્વે વહીવટીતંત્રનું કહેવું છે કે પ્રયાગરાજ એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર-14 પર ઉભી હતી. ત્યાં એક મોટી ભીડ ભેગી થઈ ગઈ હતી. સ્વતંત્ર સેનાની એક્સપ્રેસ અને ભુવનેશ્વર રાજધાની એક્સપ્રેસ પણ મોડી ચાલી રહી હતી. તેના મુસાફરો પ્લેટફોર્મ નંબર 12-13 અને 13 પર હાજર હતા. લોકોની ભારે ભીડ હતી.
બિહારના રાજકુમાર માઝીએ કહ્યું કે તેઓ તેમની પત્ની, પુત્રી અને પુત્ર સાથે નવાદા જિલ્લામાં જઈ રહ્યા હતા. માઝીએ જણાવ્યું કે આ ભાગદોડમાં તેમની પત્ની શાંતિ દેવી અને પુત્રી પૂજાનું મોત થયું. હું મારા દીકરાને શોધી શકતો નથી. દરમિયાન, પટનાના પપ્પુએ કહ્યું કે તેણે અકસ્માતમાં તેની માતા ગુમાવી છે.
સ્ટેશન પર થયેલી ભાગદોડથી હું દુઃખી છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની હું પ્રાર્થના કરું છું. નાસભાગથી પ્રભાવિત થયેલા લોકોને અધિકારીઓ મદદ કરી રહ્યા છે.
– નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી
મૃત્યુ પછી પણ અધિકારીઓ ઘરની બહાર ન નીકળ્યા, અફવાઓ ફેલાવતા રહ્યા
સ્ટેશન પર પરિસ્થિતિ કાબુ બહાર ગયા પછી પણ, નાસભાગ અને કચડાઈ જવાથી થયેલા મૃત્યુને કારણે, રેલ્વે અધિકારીઓ તેમના ઘરની બહાર ન નીકળ્યા, પરંતુ અકસ્માતને અફવા ગણાવતા રહ્યા. ઉત્તર રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ કોઈ પણ પ્રકારની ભાગદોડનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું, કોઈ ભાગદોડ થઈ નથી, તે એક અફવા છે.
ભારે ભીડને કારણે મુસાફરો એકબીજાને ધક્કો મારીને અથડાયા હતા, જેના કારણે કેટલાક મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. જોકે, થોડા સમય પછી, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે મૃત્યુની પુષ્ટિ કરી અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી..

