અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવાના ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયના ભાગ રૂપે, એક અમેરિકન લશ્કરી પરિવહન વિમાન C-17 ગ્લોબમાસ્ટર-III 16 ફેબ્રુઆરીએ અમૃતસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરશે.જેમા અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા લગભગ 119 ભારતીય નાગરિકોનો સમાવેશ થશે. દેશનિકાલ કરાયેલા લોકોમાં પંજાબના 67, હરિયાણાના 33, ગુજરાતના 8, ઉત્તર પ્રદેશના 3,રાજસ્થાન-મહારાષ્ટ્રના 2-2 અને જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશના 1-1નો સમાવેશ થાય છે. 157લોકોને લઈને બીજું એક અમેરિકન વિમાન રવિવારે અમૃતસર પહોંચવાની ધારણા છે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી બધા ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓને તેમના દેશમાં પાછા મોકલવામાં ન આવે ત્યાં સુધી દર બીજા અઠવાડિયે દેશનિકાલ પ્રક્રિયા ચાલુ રહેશે. જે લોકો ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશ્યા છે અથવા તેમના વિઝા સમાપ્ત થયા પછી પણ ત્યાં રહી રહ્યા છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અગાઉ, અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 104 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને યુએસ લશ્કરી વિમાન C-17 ગયા અઠવાડિયે 5 ફેબ્રુઆરીએ અમૃતસરના શ્રી ગુરુ રામદાસ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતર્યું હતું. જેમાં ગુજરાતના 33, હરિયાણાના 34 પંજાબના 30 મહારાષ્ટ્રના 3 અને ઉત્તર પ્રદેશ અને ચંદીગઢના 2-2 લોકોનો સમાવેશ થાય છે. તેમાં 8 થી 10 વર્ષના કેટલાક બાળકોનો પણ સમાવેશ થતો હતો.

