ભારતે ઇંગ્લેન્ડને ૧૪૨ રનથી હરાવ્યું,શ્રેણી ૩-૦થી જીતી લીધી
ભારતે ત્રીજી વનડેમાં ઇંગ્લેન્ડને ૧૪૨ રનથી હરાવીને શ્રેણી ૩-૦થી જીતી લીધી હતી…અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં, ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા બાદ, ભારતીય ટીમે શુભમન ગિલની સદી અને વિરાટ કોહલીની અડધી સદીની મદદથી 50 ઓવરમાં 10 વિકેટે 356 રન બનાવ્યા હતાં..જોકે ત્યારબાદ ઇંગ્લેન્ડની ટીમ 34.2 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને માત્ર 214 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી..
ભારતનો ઇંગ્લેન્ડ પર બીજો સૌથી મોટો વિજય
આ પહેલા ટીમ ઈન્ડિયાએ 2008માં રાજકોટમાં ઈંગ્લેન્ડને 158 રનથી હરાવ્યું હતું. રોહિત શર્માની ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઇંગ્લેન્ડનો વ્હાઇટવોશ કરીને પોતાની તાકાત બતાવી દીધી છે. આ ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી શરૂ થશે..જેમાં ભારતીય ટીમ 20 ફેબ્રુઆરીથી પોતાના અભિયાનની શરૂઆત કરશે.
ભારતનો ઇંગ્લેન્ડ પર સૌથી મોટો વિજય
158 રન રાજકોટ 2008
142 રન અમદાવાદ 2025*
133 રન કાર્ડિફ 2014
127 રન કોચી 2013
126 રન હૈદરાબાદ 2011
ઇંગ્લેન્ડની ટીમ પત્તાના ઢગલાની જેમ વિખેરાઈ ગઈ
ઈંગ્લેન્ડની શરૂઆત સારી રહી હતી. ફિલ સોલ્ટ અને બેન ડકેટે પ્રથમ વિકેટ માટે 60 રનની ભાગીદારી કરી હતી જેને અર્શદીપ સિંહે તોડી નાખી હતી. તેણે સાતમી ઓવરમાં ડકેટની વિકેટ લીધી. તે 22 બોલમાં 34 રનની ઇનિંગ રમીને પેવેલિયન પાછો ફર્યો. ત્યારબાદ નવમી ઓવરમાં પેસ બોલરે સોલ્ટને આઉટ કર્યો. તે 23 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો. આ પછી, ટોમ બેન્ટન અને જો રૂટે કમાન સંભાળી. બંને વચ્ચે 46 રનની ભાગીદારી થઈ. જોકે, આ ભાગીદારી લાંબો સમય ટકી શકી નહીં અને કુલદીપ યાદવે બેન્ટનને આઉટ કરીને તેને તોડી નાખી. આ મેચમાં જમણા હાથનો બેટ્સમેન 38 રન બનાવીને આઉટ થયો હતો. ઈંગ્લેન્ડ તરફથી રૂટે 24, બ્રુકે 19, બટલરે છ, લિવિંગસ્ટોને નવ, આદિલ રશીદે શૂન્ય, વુડે નવ, એટકિન્સને 38 અને શાકિબે 2રન* બનાવ્યા હતાં..ભારત તરફથી અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાએ બે-બે વિકેટ લીધી. આ ઉપરાંત વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવે એક-એક વિકેટ લીધી હતી.

