ભારતે બીજી વનડેમાં ઇંગ્લેન્ડને ચાર વિકેટે હરાવીને ત્રણ મેચની વનડે શ્રેણીમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે. કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ઈંગ્લેન્ડે બેન ડકેટ અને જો રૂટની અડધી સદીની ઇનિંગ્સની મદદથી 49.5 ઓવરમાં 10 વિકેટે 304 રન બનાવ્યા હતા.જયારે ભારતે રોહિત શર્માની સદીની મદદથી 44.3 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 308 રન બનાવ્યા અને મેચ જીતી લીધી હતી..બંને ટીમો વચ્ચે ત્રીજી મેચ 12 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાશે. આ મેચમાં ભારતીય ટીમ જીત સાથે ઇંગ્લેન્ડને વ્હાઇટવોશ કરવાનું લક્ષ્ય રાખશે.
બીજી વનડેમાં જીત સાથે, ભારતે ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે સતત સાતમી વનડે શ્રેણી જીતી લીધી છે. આ ઉપરાંત, 2023ના વર્લ્ડ કપ પછી આ ઇંગ્લેન્ડની ODIમાં સતત ચોથી હાર છે. તે જ સમયે, છેલ્લા 10 વર્ષમાં ભારત સામે સફેદ બોલ ફોર્મેટમાં ઇંગ્લેન્ડની 10 મેચોમાંથી આ નવમી હાર છે. આ 28મી વખત છે જ્યારે 300થી વધુ રન બનાવ્યા પછી પણ ઈંગ્લેન્ડ હાર્યું છે. આ ટીમે 99 વખત ODI માં 300 થી વધુ રન બનાવ્યા છે..

