31.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ગાંધીનગર ખાતે વૈશ્વિક કક્ષાના ‘આંજણા ધામ’નો શિલાન્યાસ,મહાનુભાવોના વરદ હસ્તે ચૌધરી સમાજના દાતાશ્રીઓનું સન્માન


રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ આજે આંજણાધામનો શિલાન્યાસ કર્યો હતો. અમદાવાદ-મહેસાણા હાઇવે પર, કલોલ નજીક, જમિયતપુરા ગામ પાસે ₹300 કરોડના ખર્ચે આકાર લેનારા ભવ્ય આંજણાધામના શિલાન્યાસ અવસરે મહાનુભાવોએ દાનવીર-દાતાઓનું સન્માન પણ કર્યું હતું.આ પ્રસંગે શિકારપૂરા આશ્રમ રાજસ્થાનના સંરક્ષક શ્રી શ્રી ૧૦૦૮ મહંત શ્રી દયારામજી મહારાજે આશીર્વચન આપ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત સંતો અને મહાનુભાવોના હસ્તે સોનાની શીલા-ઈંટનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન- મંત્રોચ્ચાર કરીને આંજણા ધામ ભવનનો શિલાન્યાસ કર્યો હતો.

વિશ્વ આંજણા ફાઉન્ડેશન અને આંજણાધામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામનારા આંજણાધામના શિલાન્યાસ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, આંજણાધામ માત્ર વિદ્યાર્થીઓને અક્ષરજ્ઞાન આપવાનું કે સમાજના યુવાનોને આઈ.એ.એસ.-આઈ.પી.એસ. બનાવવાનું કેન્દ્ર માત્ર ન બને, આંજણાધામ એવા સંસ્કારવાન માનવ નિર્માણ માટેનું મિશન બને જે સમાજનું, માતા-પિતાનું અને રાષ્ટ્રનું ગૌરવ વધારે. આંજણા-ચૌધરી સમાજ રાષ્ટ્રભક્ત સમાજ છે. આંજણા યુવાનો ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત અભિયાનમાં સહયોગ આપે.

એ જ દેશ અને સમાજ ઉન્નતિ કરે છે જ્યાં મહિલાઓનું પણ પુરુષો જેટલું જ યોગદાન હોય છે, એમ કહીને શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આંજણા સમાજ બહેન-દીકરીઓના શિક્ષણ અને વિકાસ માટે વિશેષ ધ્યાન આપે. જે પોતાના સંતાનોને શિક્ષણ અને સંસ્કાર આપશે, વ્યસનોથી મુક્ત રાખશે એ જ સમાજ પ્રગતિ કરશે.

આંજણાધામ માટે દાન આપનાર સમાજના દાનવીર આગેવાનોનું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માન કરાયું હતું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સ્વયં પણ રૂપિયા પાંચ લાખના દાનની ઘોષણા કરી હતી અને કહ્યું હતું કે, પરિશ્રમ અને મહેનતનો પૈસો પવિત્ર હોય છે. દાતાઓએ પોતાના પવિત્ર ધનનો સદુપયોગ કર્યો છે. તેમણે ‘કર્મ-ફળ વ્યવસ્થા’નું ઉદાહરણ આપતાં સમજાવ્યું હતું કે, દાન એ આગામી જન્મ માટે અત્યારે જ કરેલી આર.ટી.જી.એસ. વ્યવસ્થા છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું હતું કે, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમાજશક્તિને રાષ્ટ્રનિર્માણમાં જોડવાની આપેલી પ્રેરણાને અનુસરીને આંજણા ચૌધરી સમાજ એક ભવ્ય આંજણાધામનું નિર્માણ કરી રહ્યો છે.સમાજની ભાવિ પેઢીના ઉમદા ઘડતરના આ સેવા કાર્યમાં સહભાગી થવાની મને મળેલી તક એ મારું સૌભાગ્ય છે.

તેમણે ઉમેર્યું હતું કે, આ શિલાન્યાસ કે ભૂમિ પૂજન કોઈ સંકુલના નિર્માણની આધાર શીલા માત્ર નથી, પરંતુ સમૃદ્ધ અને શક્તિશાળી સમાજના ઘડતરની આગવી દિશા છે.આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે સૌને સાથે રાખીને ચાલવાનો, સૌના સાથ, સૌના વિકાસનો મંત્ર આપ્યો છે.આંજણા સમાજ અને વિશ્વ આંજણા ફાઉન્ડેશને આ મંત્રને કાર્યમંત્ર બનાવ્યો છે તે અભિનંદનને પાત્ર છે.સમાજના યુવાઓને ઉચ્ચ શિક્ષણ, કારકીર્દી ઘડતર અને રમત-ગમત સહિતના સર્વાંગી ક્ષેત્રોમાં ખિલવાની પૂરતી તક આપવાનું આ આંજણા ધામ સંકુલ માધ્યમ બનશે.

આશરે 300 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા આ સંકુલમાં યુવાનો માટે વર્ગોની વ્યવસ્થા, હોસ્ટેલની સુવિધા ઉપરાંત સ્વાસ્થ્ય અને વ્યસનમુક્તિ જેવી પ્રવૃત્તિઓ માટેના કેન્દ્ર પણ બનવાના છે તે યુવાશક્તિને સદાચાર-સદમાર્ગે લઈ જવાનું દિશાદર્શન કરશે,એમ મુખ્યમંત્રીશ્રી જણાવ્યું હતું.તેમણે સંકુલના નિર્માણ માટે માતબર રકમનું દાન આપનારા દાતાશ્રીઓ, વિશ્વ આંજણા ફાઉન્ડેશન તથા આંજણાધામ ટ્રસ્ટને વિશેષ અભિનંદન પાઠવ્યા હતા.

શ્રી આંજણા ચૌધરી સમાજની વિશેષતા અંગે શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, આંજણા ચૌધરી સમાજ તો અર્બુદા માતાના વંશજો છે અને સમાજશક્તિનો પરિચય સમાજે દેશવિદેશમાં પણ આપ્યો છે.ગ્રામ-સંસ્કૃતિ, કૃષિ, દૂધ ઉત્પાદન અને પશુપાલન ક્ષેત્રે પરસેવો પાડી સિદ્ધિના શિખરો સર કરનારો આ પુરૂષાર્થી સમાજ છે.આવી સમાજશક્તિને સરકારનું પ્રોત્સાહન અને સૌનો સહકાર મળે તો વિકાસ બમણો થાય છે.સમાજ અને સરકાર સાથે મળીને કામ કેરે તો કેવી ઉન્નતિ થાય તેનું જીવંત ઉદાહરણ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના સર્વગ્રાહી વિકાસથી પૂરું પાડ્યું છે. સ્વાસ્થ્ય, વેપાર, ઉદ્યોગ અને શિક્ષણ સહિત તમામ ક્ષેત્રે આંજણા સમાજે સફળતા મેળવી છે.

સમાજની દીકરીઓને ઉચ્ચ શિક્ષિત બનાવીને આંજણા ચૌધરી સમાજે શિક્ષણ ક્ષેત્રે આગવી કેડી કંડારી એમ જણાવી મુખ્યમંત્રીશ્રી એ કહ્યું હતું કે, આઇ.એ.એસ, આઇ.પી.એસ, જેવી ઉચ્ચ પદની નોકરીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની પૂર્વ તાલીમ અને જરૂરતમંદ વિદ્યાર્થીઓને આર્થિક સહાય પણ આ સમાજ પૂરી પાડે છે. આ સમાજની મહેનતના પ્રતાપે ઉત્તર ગુજરાતની ભૂમિ દૂધ અને ઘીથી મહેંકતી ધરતી બની છે. પશુપાલકો-કિસાનોની મહેનત અને પરસેવાથી સિંચાયેલી એશિયાની સૌથી મોટી ડેરી – બનાસ ડેરી ઉત્તર ગુજરાતની શાન છે અને આંજણા ચૌધરી સમાજના પરિશ્રમનો પરિપાક છે.

તેમણે યુવાઓને પ્રેરણા આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુવાશક્તિના સામર્થ્યથી રાષ્ટ્રનિર્માણનો ધ્યેય રાખ્યો છે.આંજણા ચૌધરી સમાજના યુવાનો પણ વડાપ્રધાનશ્રીના આહવાનમાંથી પ્રેરણા લઈ રાષ્ટ્રસેવાનાં કાર્યોમાં વધુને વધુ સક્રિય બને તે આપણે સુનિશ્ચિત કરવાનું છે.આંજણાધામ યુવાનોને સુસજ્જ બનાવવા સાથે તેમનામાં દેશપ્રેમના સંસ્કારોનું સિંચન કરવાનું મહત્વનું કેન્દ્ર બનશે,એમ તેમણે ઉમેર્યું હતું.

શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનાં પદચિન્હો પર ચાલીને જ દરેક સમાજને સાથે રાખી, દરેક સમાજને સમાન અવસરો પૂરા પાડીને, દરેક સમાજની સર્વાંગી વિકાસયાત્રાને આગળ વધારવા આપણે પ્રતિબદ્ધ છીએ. વિકસિત ભારત @ ૨૦૪૭ માટે વિકસિત ગુજરાતનું નિર્માણ વડાપ્રધાનશ્રીના દિશાદર્શનથી કરવું છે.એ માટે સરકાર, સમાજ અને આપણે સૌ સાથે મળીને સેવારત રહીએ અને યુવાશક્તિ, માતા બહેનોની શક્તિ સાથે રાષ્ટ્રને અને રાજ્યને પ્રગતિમય બનાવીએ.

આંજણાધામના દાતા શ્રી અને વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ સંબોધતા જણાવ્યું હતું, આંજણાધામનો શિલાન્યાસ એ ચૌધરી સમાજ માટે ઐતિહાસિક અવસર છે.તેમણે દાનનો મહિમા સમજાવતા કહ્યું કે, જે સમાજ દાતાઓનું સન્માન કરે છે તે રાષ્ટ્ર આગવી પ્રતિષ્ઠા અને સમૃદ્ધિ મેળવે છે. જેથી આ આંજણા ધામ માટે દાન આપનાર સર્વેને અભિનંદન, વંદન.

આ બિન રાજકીય સંસ્થાનમાં સમાજ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણ થશે એવી આશા વ્યક્ત કરતા

તેમણે કહ્યું કે,૧૧ રૂપિયાનું દાન પણ ૧૧ કરોડ કરોડ બરાબર છે.આ ભવનના નિર્માણમાં તમામનો નાનો પણ ફાળો છે તેવો ભાવ થવો જોઈએ. ચૌધરીએ કહ્યું કે, ગર્ભ સંસ્કાર થકી આપણે તેજસ્વી અને સંસ્કારી બાળક- પેઢીનું સર્જન કરી શકીએ છીએ. આપણે સૌએ એક થ‌ઈને આ આંજણાધામના વિકાસમાં સહભાગી થ‌ઇએ તેવું શ્રી ચૌધરીએ સમાજના આગેવાનો-યુવાનોને આહ્વાન કર્યું હતું.

આંજણાધામ પ્રમુખ અને મુખ્ય દાતા શ્રી મણીભાઈ ચૌધરીએ કહ્યું હતું કે,ભગવાને મને આ દાન માટે સક્ષમ બનાવ્યો અને સમાજે આ દાન સ્વીકાર્યું તે બદલ હું સમાજનો આભારી છું. તેમણે આ પ્રસંગે સૌને આ સંસ્થામાં જોડાઈને સમાજ હિતમાં વધુમાં વધુ દાન આપવા આહવાન કર્યું હતું. શ્રી મણિભાઇએ આંજણા ધામ માટે રૂ.૫૧ કરોડનું દાન આપ્યું છે.

દાતા શ્રી દિલીપભાઈ શંકરભાઈ ચૌધરી, શ્રી રમણભાઈ ચૌધરી અને શ્રી કનુભાઈ ચૌધરીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

આંજણા ધામના મહામંત્રી શ્રી અમિતભાઈ ચૌધરીએ આંજણા ધામના મુખ્ય દાતાશ્રીઓનો પરિચય કરાવી સમાજ હિતમાં દાન આપવા બદલ સર્વે દાતાશ્રીઓનો આભાર માન્યો હતો.

સમાજ-રાષ્ટ્રના સર્વાંગીણ વિકાસના ઉમદા હેતુથી જમિયતપુરા-ગાંધીનગરમાં વૈશ્વિક કક્ષાના ‘આંજણા ધામ’ના શિલાન્યાસ સમારોહમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓ તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશ તેમજ યુ.એસ.એ./કેનેડા સહિત વિવિધ દેશોમાંથી પણ આંજણા ચૌધરી સમાજના દાતાશ્રીઓ, આંજણા ધામના ટ્રસ્ટીશ્રીઓ, આગેવાન ભાઈ-બહેનો, કાર્યકરો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -