જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલના સોનમર્ગમાં આતંકવાદી હુમલો થયો છે, જેમાં બે બિન-કાશ્મીરી મજૂરોના મોત થયા છે જ્યારે 3 ઘાયલ હોવાનું કહેવાય છે. અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓએ જિલ્લાના ગુંડ વિસ્તારમાં સુરંગના નિર્માણ પર કામ કરી રહેલી ખાનગી કંપનીના કેમ્પમાં કામદારો પર ગોળીબાર કર્યો હતો. તેમણે કહ્યું કે બે મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે બે અન્ય ઘાયલ થયા છે. આતંકી હુમલા બાદ સેનાના જવાનોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.
સુરક્ષા દળોએ આતંકીઓને ઘેરી લીધા
“આતંકવાદીઓએ ગગનગીરમાં બિન-જમ્મુ અને કાશ્મીરના રહેવાસીઓ પર હુમલો કર્યો, જેમાં બે મજૂરોના મોત થયા અને ત્રણ અન્ય ઘાયલ થયા,” એક અધિકારીએ જણાવ્યું હતું. સુરક્ષા દળોએ વિસ્તારને કોર્ડન કરીને આતંકીઓને ઘેરી લીધા છે. આતંકવાદીઓને ખતમ કરવા માટે આ વિસ્તારમાં મોટા પાયે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
મુખ્યમંત્રીએ હુમલાની આકરી નિંદા કરી
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. સીએમએ કહ્યું કે સોનમર્ગ વિસ્તારના ગગનગીરમાં બિન-સ્થાનિક મજૂરો પર થયેલા કાયરતાપૂર્ણ હુમલા વિશે ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા છે. આ કામદારો આ વિસ્તારમાં એક મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. આ આતંકી હુમલામાં 2 લોકોના મોત થયા છે અને 2-3 લોકો ઘાયલ થયા છે. હું નિઃશસ્ત્ર અને નિર્દોષ લોકો પરના આ હુમલાની સખત નિંદા કરું છું અને તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.

