વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ભારે વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિ અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. વડાપ્રધાન મોદીએ ટેલિફોનિક વાતચીત કરીને રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વચ્ચે રાહત અને બચાવ કાર્યની જાણકારી મેળવી હતી.
વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી સાથે વડોદરામાં પૂરની સ્થિતિ અને રાહત બચાવ કાર્યો બાબતે ચર્ચા કરી છે. સાથે જ વરસાદી પાણી દૂર થયા બાદ સ્વચ્છતા અને આરોગ્ય સહિતની બાબતો પર પીએમ મોદીએ સૂચના આપી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે X પર પોતાની પોસ્ટ શેર કરતા કહ્યું કે,,સમગ્ર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી@narendramodi જીએ આજે સવારે પુનઃ એકવાર મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી. રાજ્યના વિવિધ જિલ્લાઓના અસરગ્રસ્ત લોકો માટે રાહતના પગલાઓ સહિતની બાબતોની જાણકારી તેમણે મેળવી હતી. વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂર અંગે ચિંતા વ્યક્ત કરીને તેમણે અસરગ્રસ્ત લોકોને આપવામાં આવી રહેલ રાહત અને સહાય અંગેની વિગતો મેળવી હતી.
જે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોય ત્યાં સ્વચ્છતાની સ્થિતિ તેમજ જનઆરોગ્ય સહિતની બાબતો અંગે તેમજ જનજીવન ઝડપથી પૂર્વવત થાય તે અંગે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું, અને ફરી એકવાર કેન્દ્ર સરકાર તરફથી તમામ સહયોગની ખાતરી આપી હતી.

