કેરળના કોઝિકોડમાં મગજ ખાતી અમીબાએ 14 વર્ષના બાળકનો જીવ લીધો હતો.મૃદુલ નામનો આ છોકરો એક નાનકડા તળાવમાં નહાવા ગયો ત્યારબાદ તેને ચેપ લાગ્યો હતો.આ રોગ એમોબીક મેનિન્ગોએન્સફાલીટીસ (પીએએમ) તરીકે ઓળખાય છે.જે નેગલેરીયા ફાઉલેરી નામના અમીબાથી થાય છે. જ્યારે આ અમીબા પાણી દ્વારા શરીરમાં પહોંચે છે. ત્યારે માત્ર ચાર દિવસમાં તે માનવ ચેતાતંત્ર એટલે કે મગજ પર હુમલો કરવાનું શરૂ કરે છે.
14 દિવસના ગાળામાં મગજમાં સોજો આવે છે. જેના કારણે દર્દીનું મૃત્યુ થાય છે. આ વર્ષે કેરળમાં આ રોગથી આ ત્રીજું મૃત્યુ છે. જો કે, આ પહેલા પણ દેશની વિવિધ હોસ્પિટલોમાં એમોબિક મેનિન્ગોએન્સફાલીટીસ રોગના કેસ નોંધાયા છે. કેન્દ્ર સરકારના ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP) અનુસાર, કેરળથી હરિયાણા અને ચંદીગઢ સુધી અત્યાર સુધીમાં 22 લોકોના મોત થયા છે.જેમાંથી વર્ષ 2021 પછી છ મૃત્યુ નોંધાયા છે. કેરળમાં પ્રથમ કેસ 2016 માં સામે આવ્યો હતો. ત્યારથી અહીં આઠ દર્દીઓ મળી આવ્યા છે અને તમામ મૃત્યુ પામ્યા હતા. નવી દિલ્હી સ્થિત ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, વર્ષ 2019 સુધી દેશમાં આ રોગના 17 કેસ નોંધાયા હતા. પરંતુ કોરોના રોગચાળા પછી, ઘણા પ્રકારના ચેપમાં વધારો થયો છે. આ રોગમાં અચાનક વધારો થવા પાછળ કદાચ આ એક કારણ હોઈ શકે છે. 26 મે, 2019 ના રોજ, હરિયાણામાં આઠ મહિનાની બાળકીમાં આ રોગ જોવા મળ્યો હતો.

