સુપ્રીમ કોર્ટે સોમવારે બિલ્કીસ બાનો કેસમાં 11 દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના આદેશને રદ કર્યો હતો. ગેંગરેપ અને હત્યાના દોષિતોને લગભગ 15 વર્ષ જેલમાં વિતાવ્યા બાદ ઓગસ્ટ 2022માં મુક્ત કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ પ્રતિક્રિયા આપી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ શેર કરતી વખતે રાહુલ ગાંધીએ લખ્યું, “ચૂંટણીના ફાયદા માટે ‘ન્યાયની હત્યા’ કરવાની વૃત્તિ લોકશાહી વ્યવસ્થા માટે ખતરનાક છે. આજે સુપ્રીમ કોર્ટના નિર્ણયે ફરી એકવાર દેશને કહ્યું કે ‘ગુનેગારોના આશ્રયદાતા’ કોણ છે. બિલ્કીસ બાનોનો અથાક સંઘર્ષ એ અહંકારી ભાજપ સરકાર સામે ન્યાયની જીતનું પ્રતિક છે.
શું હતો સમગ્ર મામલો?
2002ના ગુજરાત રમખાણો દરમિયાન, દાહોદ જિલ્લાના રણધિકપુર ગામની બિલ્કીસ તેના પરિવારના 16 સભ્યો સાથે ભાગી ગઈ હતી અને નજીકના ગામ છાપરવાડના ખેતરોમાં સંતાઈ ગઈ હતી. 3 માર્ચ 2002ના રોજ 20 થી વધુ તોફાનીઓએ ત્યાં હુમલો કર્યો હતો. 5 મહિનાની ગર્ભવતી બિલ્કીસ અને અન્ય કેટલીક મહિલાઓ પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. બિલ્કીસની 3 વર્ષની પુત્રી સહિત 7 લોકોની હત્યા કરવામાં આવી હતી.

