ભારતીય સંસ્કૃતિનું એક અભિન્ન અંગ સૂર્ય નમસ્કારને વિશ્વસ્તરે આગવી ઓળખ ઉભી કરવા અને સૂર્યનમસ્કારના ફાયદા જન જન સુધી પહોંચે તે માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર મહા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. નવા વર્ષના પ્રથમ દિવસે રાજ્યભરમાં ૧૦૮ સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે અન્વયે ગાંધીનગર જિલ્લામાં યોજાયેલા સામૂહિક સૂર્યનમસ્કાર કાર્યક્રમમાં પુનિત વન ખાતે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા, કંથારપુર વડ ખાતે ગાંધીનગર જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોય, દહેગામના ઘારાસભ્યશ્રી બલરાજસિંહ ચૌહાણ, વિધાનસભા સંકુલ ખાતે ગાંધીનગર(ઉ)ના ઘારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, આઇ.આઇ.ટી. પાલજ ખાતે ગાંધીનગર(દ)ના ઘારાસભ્યશ્રી અલ્પેશ ઠાકોર, અને ઘ-૪ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે મ્યુનિસિપલ કમિશનર શ્રી જે. એન વાઘેલા,મહાનગરપાલિકાના સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન શ્રી જશવંતભાઇ પટેલ, , ચિલ્ડ્રન યુનિવર્સીટી ખાતે ડે. મ્યુનિસિપલ કમિશનરશ્રી કેયુર જેઠવા ,દાંડી કુટિર ખાતે જી.એમ.સીના પી.આર.ઓ યાજ્ઞિકભાઈ ઠેસિયા ઉપસ્થિત રહયા હતા.તમામ સ્થળોએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં બહોળી સંખ્યામાં નગરજનો અને શાળાનાવિધાર્થીઓ ઉત્સાહ ભેર જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે રાજ્યકક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમ મોઢેરા સૂર્યમંદિર ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના મંત્રીશ્રી હર્ષ સંઘવીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. રાજ્યકક્ષાના કાર્યક્રમના અંતે સૂર્ય નમસ્કાર સ્પર્ધાના તમામ વિજેતા સ્પર્ધકોનું મંચસ્થ મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીનગર જિલ્લા સહિત અન્ય જિલ્લાઓ વર્ચ્યુઅલ માધ્યમ થકી રાજ્ય કક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.

