ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઇ ચૌધરીના અધ્યક્ષ સ્થાને ૧૦૦૮ પરમ પૂજ્ય સંતશ્રી સદાગીરી મહારાજ તેમજ પરમ પૂજ્ય સંતશ્રી નિજાનંદ સ્વામીની વિશેષ ઉપસ્થિતિમાં શ્રી ખડોસ ચૌધરી ઝલા ૨૧ ગામ આયોજિત નવીન કોલેજના મકાનના ખાતમુહૂર્ત અને તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત પ્રાર્થના ગીત , દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીએ વડીલોને અભિનંદન આપી પોતાની કારકિર્દી બનાવવા માટે સૌ સન્માનિતોને અભિનંદન પાઠવ્યા હતા. જેના લીધે બીજાને પણ પ્રેરણા મળશે શૈક્ષણિક સંકુલ માટે પોતાના બાળકોને ભણાવવા માટે જે-જે લોકોએ દાન આપ્યું છે. એ મોટું પુણ્યનું કામ કર્યું છે. શૈક્ષણિક સંકુલ આ વિસ્તારનું મોટું વટ વૃક્ષ બને તે દિશમાં કામ કરવા માટે હંમેશા સમાજની સાથે પડખે ઉભો રહી આ કાર્યને આગળ વધારવા મદદરૂપ બનીશ એમ જણાવ્યું હતું.

ઘર આંગણે દીકરા દીકરીઓને સારું શિક્ષણ મળશે, ખેડૂતોના ખરા પરસેવાનો પૈસો જે શિક્ષણ માટે વાપરવામાં આવે એ ખૂબ મોટી વાત છે. હાલ ૧૨ કરોડ જેટલું દાન એકત્રિત કરવામાં આવ્યું છે. કાળી મજૂરી કરીને ખેડૂતો આટલું મોટું દાન આપે એ એક મોટું પુણ્યનું કામ છે આ તબક્કે તમામ સમાજના દીકરા દીકરીઓ સહિત સમાજના આગેવાનોને અધ્યક્ષશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.

બનાસકાંઠા સાંસદસભ્યશ્રી પરબતભાઇ પટેલે પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું હતું કે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ કાર્યકમ થકી અન્ય વિધાર્થીઓને પણ પ્રેરણા મળે અને અભ્યાસમાં પ્રગતિ થાય એ માટે આ સન્માન અમારે પણ લેવું છે તે દિશામાં પ્રગતિ થાય વ્યસનોમાંથી બહાર નીકળી વ્યસન પાછળ થતો ખર્ચ દીકરા દીકરીના ભણતર પાછળ ખર્ચ કરવા અપીલ કરી હતી.

શ્રી ખડોસ ચૌધરી કેળવણી મંડળ જેગોલ બનાસડેરીના ડાયરેક્ટર અને બનાસ મેડિકલ કોલેજના ચરમેન શ્રી પી.જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ, સરકારી સેવામાં વિવિધ ક્ષેત્રોમાં જોડાયેલા કર્મવીરો, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તથા જુદા જુદા ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ અને વ્યક્તિઓ સહિત કુલ ૨૬૦ જેટલા સમાજના સફળ સુકાનીઓનું મહાનુભાવોના હસ્તે સાલ અને પ્રશસ્તિ પત્ર અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું.

ખડોસ ચૌધરી કેળવણી મંડળ જેગોલના પ્રમુખ શ્રી પી.જે. ચૌધરી દ્વારા શેક્ષણિક સંકુલ માટે ૫૧ લાખની રકમનું માતબર દાન આપી શિક્ષણ કાર્યમાં સહભાગી બન્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભૂમિનું પૂજન રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

આજે કોલેજ બિલ્ડીંગનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું છે જેના લીધે આજુબાજુના વિસ્તારના બાળકોને ઉચ્ચ કોટીનું શિક્ષણ ઘર આંગણે મળી રહેશે. ભવિષ્યમાં સમાજમાં થતા લગ્નના મોટા મોટા ખર્ચમાં ધટાડો કરી આગામી સમયમાં સમાજની મોટી વાડી બનાવી સમૂહ લગ્ન પણ એક સાથે થાય તેવી વિચારણા કરી રહ્યા છીએ.


આ પ્રસંગે ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, બનાસ બેંકના ચેરમેનશ્રી સવશીભાઈ ચૌધરી, બનાસકાંઠા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી, જિલ્લા નિરંતર શિક્ષણ અધિકારીશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકાના ગણમાન્ય પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ તથા ખડોસ ઝલા અને તેની આસપાસના ઝલાઓમાંથી પધારેલા સામાજિક આગેવાનો, વડીલો, માતાઓ, બહેનો, યુવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે તાલુકા સંગઠનનના પૂર્વ પ્રમુખશ્રી નટુભાઈ ચૌધરી દ્વારા આવનાર મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યો હતો.

