નવેમ્બરમાં છત્તીસગઢ સહિત દેશના 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે. ત્યારે દરેક પક્ષ મતદાતાઓને રિઝાવવાની પૂરજોશ કોશિશ કરી રહ્યો છે. છત્તીસગઢમાં ચૂંટણી માહોલ વચ્ચે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોપની રાજનીતિ પણ ચરમસીમાએ પહોંચી છે. દરમિયાન રાજ્યના પ્રવાસે ગયેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપનો ઢંઢેરો બહાર પાડ્યો હતો.
5 વર્ષમાં રાજ્યને સંપૂર્ણ વિકસિત બનાવશે
છત્તીસગઢમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મેનિફેસ્ટો બહાર પાડતા કહ્યું હતું કે, હું અહીંના લોકોને ખાતરી આપવા માગુ છું કે આગામી પાંચ વર્ષમાં અમે છત્તીસગઢને સંપૂર્ણ વિકસિત રાજ્ય બનાવીશું. અમિત શાહે એમ પણ કહ્યું કે, આ અમારો ઢંઢેરો નથી, અમારા માટે સંકલ્પપત્ર છે.
ભાજપે લોકોને આપ્યા આ વચન
ઢંઢેરો બહાર પાડતા શાહે આગળ કહ્યું કે, અમે લાખો લોકો સાથે ચર્ચા કરીને ‘મોદીની ગેરંટી’ મેનિફેસ્ટો તૈયાર કર્યો છે. શાહે કહ્યું કે, આમાં અમે એવો નિર્ણય કર્યો છે કે અમે કૃષિ ઉન્નતિ યોજનાની શરૂઆત કરીશું, જે અંતર્ગત 21 ક્વિન્ટલ અથવા એકર ડાંગર રૂ. 3,100ના ભાવે ખરીદવામાં આવશે. તેની એકમ રકમ ખેડૂતોને ચૂકવવામાં આવશે.
કોંગ્રેસે એકપણ વચન પૂરું કર્યું નથી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આગળ કહ્યું કે, છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં ભૂપેશ બઘેલ સરકાર કાયદો અને વ્યવસ્થાની બાબતમાં નિષ્ફળ સાબિત થઈ છે. તેમણે 300થી વધુ વચનો આપ્યા હતા, જે પૂરા થયા નથી. શાહે સીએમ ભૂપેશ બઘેલ પર નિશાન સાધતા કહ્યું કે, ખોટો પ્રચાર કરવામાં આખા દેશમાં તેમના સમાન કોઈ નથી. શાહે કહ્યું કે, મુખ્યમંત્રીએ ખોટો પ્રચાર કરીને 5 વર્ષ સુધી અહીં સરકાર ચલાવી, પરંતુ આમાં તેમણે માત્ર કૌભાંડો જ કર્યા છે.

