ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાયા પ્રમાણે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહે આજે તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ પટેલ (ભગત) તેમજ દરીયાપુર વિધાનસભાના ધારાસભ્ય કૌશિકભાઇ જૈનના જનસંપર્ક કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું. આ તબક્કે શાહ બંને વિધાનસભા ક્ષેત્રના ભાજપના હોદ્દેદારો, પાયાના તેમજ તમામ કાર્યકર્તાઓ તથા નગરસેવકોને મળ્યા હતા અને સંગઠનના સંસ્મરણો યાદ કરી આનંદ વ્યક્ત કર્યો હતો.
બાદમાં શાહે દરિયાપુર વિધાનસભા ક્ષેત્રના જનસંઘ સમયના ભાજપના સિનિયર કાર્યકર્તા દુલીચંદભાઈ વછેટાની પણ શુભેચ્છા મુલાકાત લઈ તેમના ખબર અંતર જાણ્યા હતા. શાહે આ તબક્કે જૂના સંસ્મરણો વાગોળી ભાજપમાં વછેટા સહિત અનેક સિનિયર કાર્યકર્તાઓએ આપેલ યોગદાનને બિરદાવ્યું હતું. દુલીચંદભાઈ અગાઉના દરિયાપુર – કાજીપૂર વોર્ડ મંડળનાં ભાજપા પ્રમુખ તેમજ બાદમાં મહામંત્રી તેમજ નગરસેવક તરીકેની જવાબદારી સંભાળી ચૂક્યા છે.
અત્રે સર્વ વિદિત છે કે શ્રી શાહ તેમના વ્યસ્ત સમયપત્રક વચ્ચે પણ તેમના સંસદીય ક્ષેત્રના જનસંઘ સમયના ભાજપના વરિષ્ઠ અને પાયાના કાર્યકર્તાઓના ખબર અંતર જાણવા શુભેચ્છા મુલાકાત લેતા રહે છે. શાહના આ અભિગમથી કાર્યકર્તાઓમાં ઉત્સાહ વર્ધન થવાની સાથે સાથે કાર્યકર્તાઓ ભાજપનો પ્રાણ અને ચાલકબળ હોવાના મંત્રને પણ સાકાર સ્વરૂપ મળી રહ્યું છે.

