બોટાદના સાળંગુપર હનુમાનજી મંદિરમાં કિંગ ઓફ હનુમાન પ્રતિમા નીચે કંડારવામાં આવેલા વિવાદિત ભીંતચિત્રોને લઈ વિવિધ સાધુ-સંતો અને હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ દાખવ્યા બાદ હવે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને વિવિધ હિન્દ સંગઠનો વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ત્યારે આ વચ્ચે વડતાલના સ્વામીએ ઉશ્કેરીજનક એક નિવેદન આપ્યું છે, જેના કારણે બળતામાં ઘી હોમ્યા જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.
મીડિયા અહેવાલ અનુસાર, વડોદરા ગુરૂકુળના દર્શન સ્વામીએ સાળંગપુર ભીંતચિત્રોના વિરોધ અંગે વાત કરતા કહ્યું કે, ચલમ પિનારા સનાતનીની વાતો ના કરે. તેમણે કહ્યું કે, ગગનમાં તારા જેટલા શત્રુઓ કદાચ એકવાર બની જાય, અને સમૂહ ભેગો થઈ જાય અને કદાચ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની સામે આવી જાય, સાહેબ મારો ઇષ્ટદેવ સર્વોપરી છે. અન્ય સંતો પહેલા અમે સનાતની છીએ. તેમણે કહ્યું કે, સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે.
‘મહેરબાની કરીને સ્વામિનારાયણવાળાને છંછેડવાના ધંધા બંધ કરી દો’
આ સાથે દર્શન સ્વામીએ કહ્યું કે, મહેરબાની કરીને સ્વામિનારાયણવાળાને છંછેડવાના ધંધા બંધ કરી દો. જો કે, આ નિવેદન સામે આવ્યા બાદ વિવાદ વધુ વકર્યો છે. આજે સ્વામિનારાણય સંતો અને વીએચપી વચ્ચે બેઠક થઈ છે. જ્યારે આ પહેલા ગાંધીનગરમાં CMની ઉપસ્થિતિમાં સંતોની બેઠક થઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી સાથે સંતોએ બેઠક કરી હતી, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી પ્રફુલ પાનસેરીયા, વડતાલ મંદિરના કોઠારી ડૉ. સંત વલ્લભસ્વામી, સરધાર મંદિરના સંતો, પાટીદાર અગ્રણી, ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. આવતીકાલે લીંબડી ખાતે મોટા મંદિર ખાતે સાધુ-સંતોનું મહાસંમેલન મળશે.

