અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસને લઈ મોટા સમાચાર આવ્યા છે. પોતાની લક્ઝુરિયસ કારથી 9 નિર્દોષ લોકોના જીવ લેનારા આરોપી નબીરા તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં હાજર કરાયા હતા. પ્રજ્ઞેશ પટેલને હવે જેલ મેન્યુઅલ પ્રમાણે ઘરનું જમવાનું મળશે. જ્યારે તથ્ય પટેલને હજી પણ જેલનું જ ખાવાનું ખાવું પડશે. આ કેસમાં આગળની વધુ કાર્યવાહી માટે કોર્ટે 1 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી છે.
બંને આરોપી પોતાના વકીલોને મળ્યા
જણાવી દઈએ કે, ગઈકાલે તથ્ય પટેલની જામીન અરજી કોર્ટે ફઘાવી દીધી હતી. હાલ બંને પિતા-પુત્ર જ્યુડિશિયલ કસ્ટડીમાં અમદાવાદ જેલમાં બંધ છે. આજે તથ્ય પટેલ ચશ્માં અને જેક એન્ડ જોન્સની ટી-શર્ટ પહેરીને કોર્ટમાં આવ્યો હતો. તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ આજે પોતાના વકીલોને પણ મળ્યા હતા. અહેવાલ અનુસાર, અગાઉ આરોપીઓને વકીલથી મળવા ન દેવાતા કોર્ટે પોલીસને પ્રશ્ન કર્યો હતો અને પોલીસે કોર્ટ ઓર્ડર માગ્યો હતો. કોર્ટે પોલીસને નિયમ પ્રમાણે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. કોર્ટમાં હાજર કરતા સમયે તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લાવવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે, ગઈકાલે સેશન્સ કોર્ટમાં તથ્ય પટેલની રેગ્યુલર જામીન અરજી પર ચુકાદો આવ્યો હતો, જેમાં કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી.
પિતા-પુત્રની જામીન અરજી ફગાવાઈ
આ પહેલા ગ્રામ્ય સેશન્સ કોર્ટે પ્રજ્ઞેશ પટેલની મેડિકલ જામીન અરજી ફગાવી હતી. ત્યારે હવે પ્રજ્ઞેશ પટેલે હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી છે, જેના પર આગામી દિવસોમાં હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. હાઈકોર્ટમાં પ્રજ્ઞેશ પટેલ વતી એડવોકેટ સોમનાથ વત્સે દલીલ કરે તેવી શક્યતાઓ છે. જણાવી દઈએ કે, પ્રજ્ઞેશ પટેલના વકીલ નિસાર વૈદ્યે કોર્ટમાં જામીન આપવા દલીલ કરી હતી કે, પ્રજ્ઞેશ પટેલને 2019થી મોઢાનું કેન્સર છે, જ્યારે બીજી તરફ આ અરજી સામે મૃતકના પરિવારજનોએ વાંધા અરજી કરી હતી. સરકારી વકીલે જણાવ્યું હતું કે, આરોપી સામે અગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જામીન મળશે તો પુરાવા અને સાક્ષીઓ નષ્ટ થઈ શકે છે.

