બગોદરા, બાવળા હાઈવે પર ટ્રક સાથે છોટા હાથી ઘુસી જતા 10 લોકોના મોત નિપજ્યા છે. મૃતકોમાં પાંચ મહિલાઓ, ત્રણ બાળકો અને બે પુરૂષોનો સમાવેશ થાય છે.
હાઈવે પર આ મોટી દુર્ઘટના સામે આવી છે. ચોટીલા માતાના દર્શન કરીને પરત ફરતી વખતે છોટા હાથી હાઈવે પર પાર્ક કરેલી ટ્રકમાં ઘૂસી ગયું હતું. જેના કારણે અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા.
ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને અકસ્માતમાં ઘાયલ અન્ય લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત અમદાવાદથી દૂર 50 કિમી થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, ટાયર પંચર થવાને કારણે ટ્રક હાઈવે પર ઉભી હતી. જેના કારણે પાછળથી આવતી છોટા હાથીનો ચાલક સમજી શક્યો ન હતો અને મોટો અકસ્માત સર્જાયો હતો.
છોટા હાથી વાહનમાં કુલ 13 લોકો સવાર હતા. તેમાંથી ત્રણ સામે બેઠા હતા. બાકીના 10 લોકો પાછળ સવાર હતા. આ તમામ સુરેન્દ્ર નગર જિલ્લા સ્થિત યાત્રાધામ ચોટીલાથી પરત ફરી રહ્યા હતા. પરત ફરતી વખતે હાઈવે પર સામે ઉભેલી ટ્રક સાથે અથડાતા આ મોટો અકસ્માત થયો હતો. જેમાં કુલ 10 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
પોલીસે મૃતકોને બહાર કાઢ્યા અને ઘાયલોને હોસ્પિટલ મોકલ્યા. તમામ કપડવંજના સુધા ગામના વતની હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ બાવળા બગોદરા હાઈવે પર જામ થઈ ગયો હતો.

