કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે માટે બજરંગ દળની તુલના પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા એટલે કે પીએફઆઈ સાથે કરવી ભારે પડી હોય એમ લાગી રહ્યું છે. સંગરુર કોર્ટના જજ રમનદીપ કૌરે ફરિયાદી હિતેશ ભારદ્વાજની ફરિયાદ પર કોંગ્રેસ અધ્યક્ષ વિરુદ્ધ 18 મેના રોજ સમન્સ જારી કર્યું છે. કોર્ટે મલ્લિકાર્જુન ખડગેને 10 જુલાઈ 2023ના રોજ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. જો તે આપેલી તારીખે કોર્ટમાં હાજર નહીં થાય તો તેમની ગેરહાજરીમાં જ ફરિયાદીનો પક્ષ સાંભળવામાં આવશે.
શું છે આ સમગ્ર મામલો?
હિતેશ ભારદ્વાજે કર્ણાટક ચૂંટણી માટે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં બજરંગ દળ વિરુદ્ધ તેમની ‘અપમાનજનક’ ટિપ્પણી અને પ્રતિબંધિત સંગઠન ‘PFI’ સાથે તેની સરખામણી કરવા બદલ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ 100 કરોડ 10 લાખનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. કોંગ્રેસે કર્ણાટક ચૂંટણી માટે 2 મેના રોજ જાહેર કરેલા તેના ઢંઢેરામાં કહ્યું હતું કે તે બજરંગ દળ અને પીએફઆઈ જેવા વ્યક્તિઓ અને સંગઠનો સામે નક્કર કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છે, જે જાતિ અને ધર્મના આધારે સમુદાયો વચ્ચે નફરત ફેલાવે છે. મેનિફેસ્ટો અનુસાર, કાર્યવાહીમાં આવી સંસ્થાઓ પર પ્રતિબંધોનો પણ સમાવેશ થાય છે.
બજરંગ દળે પોતાનો પક્ષ રાખ્યો
અરજદારના વકીલ લલિત ગર્ગે કહ્યું હતું કે, “PFI સાથે સરખામણી કરવાથી બજરંગ દળ અને હિંદુ સુરક્ષા પરિષદના કરોડો સભ્યોની ગરિમાને ઠેસ પહોંચી છે અને ભગવાન હનુમાનના ઉપાસકોની પણ માનહાનિ થઈ છે.” અરજી કરનારે તેમની પ્રતિષ્ઠાએ અને સમ્માનને ઠેસ પહોંચાડવા બદલ વિશેષ નુકસાનની ભરપાઈ કરવાની માંગ કરી છે અને 100 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો દાખલ કર્યો છે. ગર્ગે દલીલ કરી કે સામાજિક સંસ્થા બજરંગ દળે માનવતા માટે અનેક કાર્યો કર્યા છે. તમને જણાવી દઈએ કે માનહાનિના આવા મામલામાં જો 2 વર્ષ કે તેથી વધુની સજા થાય છે, તો સાંસદો અથવા ધારાસભ્યોને તેમના પદ ગુમાવવા પડે છે.

