સુરેન્દ્રનગર નિવાસી અધિક કલેકટર દર્શના ભગલાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. સંકલન ભાગ-૦૧ની બેઠકમાં ધ્રાંગધ્રાનાં ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ જી.આઈ.ડી.સી. તેમજ આયુર્વેદ હોસ્પિટલમાં વિવિધ સુવિધાને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા. ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણે ગ્રામ્ય વિસ્તારમાં સૌની યોજના સંબંધિત પાણી લીકેજની સમસ્યા, ખાણ-ખનીજ વિભાગ તેમજ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનનાં સર્વે સહિતનાં પ્રશ્નો અંગે માહિતી મેળવી વિગતવાર ચર્ચા કરી હતી અને પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે અધિકારીઓને સૂચના આપી હતી. દસાડા ધારાસભ્ય પી.કે પરમારે અગરિયાઓ, જી.આઇ.ડી.સી તેમજ વીજળીને લગતા પ્રશ્નોની રજૂઆત કરી આ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને ત્વરિત કામગીરી કરવા જણાવ્યું હતું.


