અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગે જે જખમ અદાણી ગ્રૂપને આપ્યો છે એ હજુ સુધી રૂઝાયો નથી. અદાણી ગ્રૂપના જંગી દેવા અંગે સવાલ ઉઠાવતા હિંડનબર્ગના ઘટસ્ફોટ બાદ અદાણી ગ્રૂપમાં રોકાણકારોનો વિશ્વાસ ડગમગી ગયો છે. દિગ્ગજ રોકાણકાર માર્ક મોબિયસ દ્વારા અદાણી જૂથના દેવા અંગે સવાલ ઉઠાવવામાં આવ્યો છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન, મોબિયસ કેપિટલ પાર્ટનર્સના સ્થાપક માર્ક મોબિયસે અદાણીના દેવા અંગે પ્રશ્ન ઉઠાવતા કંપનીમાં રોકાણ કરવાનો ઇનકાર કરી દીધો છે.
અદાણીના દેવા પર ઉઠાવ્યો સવાલ
ઈન્ટરવ્યુ દરમિયાન માર્ક મોબિયસે કહ્યું કે બજારના રોકાણકારોને ભારત પાસેથી ઘણી અપેક્ષાઓ છે. મોબિયસ કેપિટલ માટે ભારત એક મોટું બજાર છે. તેમની ફર્મ ભારતમાં તેનું રોકાણ વધારવાની યોજના બનાવી રહી છે, પરંતુ તે અત્યારે અદાણી જૂથમાં રોકાણ કરશે નહીં. માર્કે કહ્યું કે ભારત તેમના રોકાણ પોર્ટફોલિયોમાં બે સૌથી મોટા બજારોમાંનું એક છે. જ્યાં સુધી અદાણી ગ્રૂપમાં રોકાણનો સવાલ છે, તે હાલ પૂરતું તેનાથી અંતર રાખશે. તેમણે અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં રોકાણ કરવાનો ઇનકાર કર્યો છે.
તેમણે કહ્યું કે દેવાના કારણે અમે અદાણી જૂથની કંપનીઓમાં રોકાણ કરવાથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે અદાણી જૂથ પર ઘણું દેવું છે અને અમે વધુ દેવું ધરાવતી કંપનીઓમાં રોકાણ કરવા માંગતા નથી. આ કારણથી તેમણે અદાણીની કંપનીઓથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. અગાઉ ફેબ્રુઆરીમાં પણ તેમણે આવી જ વાત કહી હતી.
તેમણે અમેરિકાની બેંકિંગ કટોકટી પર પણ પોતાનો અભિપ્રાય આપ્યો અને કહ્યું કે અમેરિકાની અર્થવ્યવસ્થા મંદી તરફ આગળ વધી રહી છે. પ્રાઇમ લેન્ડિંગ રેટ સતત વધી રહ્યો છે. તેમણે કહ્યું કે તાજેતરના ભૂતકાળમાં ઉભરતા બજારોએ યુએસ બજાર કરતાં ઘણું સારું પ્રદર્શન કર્યું છે. ચીન ઉપરાંત ભારતીય બજારોએ અસાધારણ પ્રદર્શન કર્યું છે. ભારત સરકાર સતત સુધારા પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જે રોકાણકારોને ભારત તરફ આકર્ષવા માટે કામ કરી રહી છે.

