અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ઔડા અંતર્ગત આવતા વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 20 મેના રોજ અમદાવાદ આવવાના છે. ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા હેઠળ આવતા વિસ્તારની યોજનાઓનું ઉદઘાટન પણ કરશે.
મળતી માહિતી મુજબ, એએમસી અને ઔડા હેઠળ આવતા વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ માટે 20 મેના રોજ ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે. અમિત શાહ એએમસીના અંદાજિત 500 કરોડથી વધુના કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. નારણપુરા બેઠક પર 1.5 કરોડના ખર્ચે લાઇબ્રેરી અને રૂ.1.5 કરોડના ખર્ચે જિમનેશિયલનું નિર્માણ થશે. જ્યારે, ચાંદલોડિયામાં 17 કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ડ પ્લાન્ટ બનાવાશે. ઉપરાંત, 300 કરોડના ખર્ચે નિર્માણ થનારા 2500 આવાસના ડ્રો પણ કરાશે.
મણિપુરમાં હિંસા બાદ મુખ્યમંત્રીની અમિત શાહ સાથે મુલાકાત
જણાવી દઈએ કે, મણિપુરમાં છેલ્લા ઘણા સમયથી હિંસા ફાટી નીકળી છે. ત્યારે હવે રાજ્યના મુખ્યમંત્રી એન. બિરેન સિંહ અને રાજ્ય ભાજપ અધ્યક્ષ સાથે 14 મેના રોજ દિલ્હી ખાતે પહોંચ્યા હતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે અમિત શાહને રાજ્યની વર્તમાન સ્થિતિ અંગે જાણકારી આપી હતી. જણાવી દઈએ કે, મણિપુરમાં 3 મેના રોજ મૈતેઈ અને કુકી આદિવાસીઓ વચ્ચે હિંસા ફાટી નીકળી હતી, જેમાં અત્યાર સુધી 60 લોકો માર્યા ગયા હોવાના સમાચાર છે.

