લોકોની આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર એવા દ્વારકાધીશ મંદિરમાં સુરક્ષાના ભાગરૂપે મોબાઇલ તેમ જ કોઈ પણ જાતના ઇલેક્ટ્રિક ઉપકરણો લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ, તેમ છતાં સોશિયલ મીડિયા પર હાલ દ્વારકાધીશ મંદિરની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પર ચલણી નોટો ઉડાડતા કેટલાક લોકોનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ દ્વારકાધીશ મંદિરમાં સુરક્ષામાં મોટી ચૂક થઈ હોવાની ચર્ચા થઈ રહી છે. ત્યારે આ મામલે હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
જણાવી દઈએ કે, દ્વારકાધીશ મંદિરમાં સુરક્ષાને ધ્યાને રાખીને Z+ સિક્યોરિટી તહેનાત કરાઈ છે. મંદિરમાં મોબાઇલ તેમ જ કોઇ પણ જાતના ઇલેક્ટ્રિક ઉપકરણો લઇ જવા પર પ્રતિબંધ છે. તેમ છતાં કઈએ મંદિરની અંદર મોબાઇલ લઈ જઈ વીડિયો ઉતાર્યો અને તે વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક લોકો ભગવાન દ્વારકાધીશના મંદિરમાં ચલણી નોટો ઉડાડતા જોવા મળી રહ્યા છે. ત્યારે હવે આ વીડિયો અને મંદિરની સિક્યોરિટી સામે કેટલાક પ્રશ્નો ઊભા થયા છે.
આ સમગ્ર મામલે ભગવાન શ્રી કૃષ્ણના ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાયરલ વીડિયોમાં દેખાય છે કે દ્વારકાધીશ મંદિરની અંદર ભગવાન કૃષ્ણ સમક્ષ સાક્ષાત રીતે માતા લક્ષ્મીજીનું અપમાન થતું હોઇ તેવા દ્રશ્યો સામે આવતા ભક્તોમાં રોષની લાગણી છવાઈ છે. જો કે, આ મામલે હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે હવે દ્વારકા જિલ્લા પ્રશાસન આ મામલે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ? તે જોવાનું રહેશે.

