સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક આજે ગાંધીનગર ખાતે મળશે. પીએમના પ્રવાસ અને જ્ઞાનસેતુ અંગે ચર્ચા થશે. રાજ્યમાં પીવાના પાણીના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં દર બુધવારે સ્વર્ણિમ સંકુલ ગાંધીનગર ખાતે બેઠકનું આયોજન કરવામાં આવે છે. જેમાં કેબિનેટ કક્ષાના મંત્રીઓ અને અધિકારીઓ હાજર રહે છે. ત્યારે રાજ્યકક્ષાના કેટલાક મહત્વના નિર્ણયો કેબિનેટમાં લેવામાં આવે છે.
રાજ્યમાં અત્યારે ગરમી વધી રહી છે ત્યારે આ મામલે જળાશયોની સ્થિતિ તેમજ જે ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીને લઈને સમસ્યાઓ આવી રહી છે તેને જોતા ટેન્કરો મોકલવા બાબતે પણ ચર્ચા કરવામાં આવશે. આ સાથે પાણીને લગતા વિવિધ મુદ્દે કેબિનેટની અંદર ચર્ચા કરાશે.
12મેના રોજ પીએમના પ્રવાસને લઈને ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ આગામી 12 મેના રોજ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે આ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આ દરમિયાન પીએમ 42 હજારથી વધુ આવાસોનું લોકાર્પણ કરશે. મહાત્મા મંદિર ખાતે પીએમની ઉપસ્થિતિમાં આવોત્સવ યોજવામાં આવશે. ત્યારે આ મુદ્દે કાર્યક્રમની તૈયારીઓને લઈને સમીક્ષા કરવામાં આવશે.
અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલ સારવાર માટે મુંબઈમાં હોવાના કારણે કેબિનેટની બેઠક થઈ શકી ન હતી. સીએમના પુત્રને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો અને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલતી હતી જેથી સીએમ પણ મુંબઈ હોવાથી બુધવારે કેબિનેટ બેઠક મળી હતી. ત્યારે આજે મળેલી આ બેઠકમાં વિવિધ પાસાઓ પર ચર્ચા થશે.

