મધ્ય જાપાનમાં શુક્રવારે બપોરે જોરદાર ભૂકંપ આવ્યો. આ ભૂકંપમાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. યુએસ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું કે જાપાનના મુખ્ય ટાપુ હોન્શુના પશ્ચિમ કિનારે ઇશિકાવા પ્રીફેક્ચરમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જાપાનની હવામાન એજન્સીએ ભૂકંપની તીવ્રતા 6.5 માપી હતી અને જણાવ્યું હતું કે તે લગભગ 12 કિલોમીટરની ઊંડાઈ પર કેન્દ્રિત હતું.
ભૂકંપ પછી 50 થી વધુ આફ્ટરશોક્સ અનુભવાયા છે, જેમાં શુક્રવારે રાત્રે 5.8-ની તીવ્રતાનો ભૂકંપનો સમાવેશ થાય છે. ઇશિકાવા પ્રીફેક્ચરમાં નોટો દ્વીપકલ્પના ઉત્તરીય છેડે સ્થિત સુઝુ શહેરમાં સૌથી વધુ જાનહાનિ અને નુકસાન નોંધાયું છે. ત્યાં, સીડી પરથી પડી જવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, અને પ્રાંતમાં 22 અન્ય લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમાંથી બે ગંભીર છે અને બાકીનાને નાની ઈજાઓ છે. પ્રાંતના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે રાત્રે લગભગ 100 રહેવાસીઓએ આશ્રયસ્થાનોમાં આશ્રય લીધો હતો. ફાયર એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના જણાવ્યા અનુસાર, તોયામાના પડોશી પ્રીફેક્ચરમાં એક વ્યક્તિ ઘાયલ થયાના અહેવાલ છે. આ દરમિયાન અનેક ઘરોને પણ નુકસાન થયું હતું. શનિવારે સાંજે વરસાદની પણ આગાહી છે.
પીએમ ફ્યુમિયો કિશિદાએ શોક વ્યક્ત કર્યો
એક વીડિયોમાં પર્વતમાળાનો એક ભાગ એક મકાન પર તૂટી પડતો દર્શાવવામાં આવ્યો હતો. ટેલિવિઝન દ્વારા પ્રસારિત કરાયેલા અન્ય વીડિયોમાં લગભગ અડધી મિનિટ સુધી રૂમ ધ્રૂજતો જોવા મળ્યો હતો. વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા, જેઓ શુક્રવારે રાત્રે આફ્રિકા અને સિંગાપોરના પ્રવાસેથી પાછા ફર્યા હતા, તેમણે ભૂકંપ પીડિતો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો અને રહેવાસીઓને સંભવિત આફ્ટરશોક્સ વિશે “સાવચેત રહેવા” વિનંતી કરી હતી.
ઇશિકાવા પ્રીફેક્ચરમાં ટોક્યો અને કનાઝાવાને જોડતી બુલેટ ટ્રેનો સલામતી તપાસ માટે અસ્થાયી રૂપે અટકાવવામાં આવી હતી, પૂર્વ જાપાન રેલ્વે કંપનીએ જણાવ્યું હતું, પરંતુ કેટલાક વિલંબ સાથે સામાન્ય કામગીરી ફરી શરૂ કરી હતી. ન્યુક્લિયર રેગ્યુલેટરી ઓથોરિટીના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં આવેલા ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં કોઈ ગડબડ થઈ નથી.

