સારબકાંઠાના પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામથી આઇસર ગાડીમાં માલ ભરી અમદાવાદના સરખેજ ખાતે ખાલી કરવા માટે ત્રણ શખ્સ આઇસર ગાડીમાં નીકળ્યા હતા. દરમિયાન ગાંધીનગરના તારાપુર બ્રિજ પર આઇસર ગાડીના ચાલકે ગાડી ગફલતભરી રીતે હંકારીને ડિવાઇડરનાં થાંભલા સાથે અથડાવી હતી. આ અકસ્માતમાં ત્રણ પૈકી એક શખ્સને ગંભીર રીતે ઇજા થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ મામલે અડાલજ પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, પ્રાંતિજ તાલુકાના રણછોડપુરા ગામમાં રહેતા જાલમસિંહ ચૌહાણ છેલ્લા પાંચ વર્ષથી સોનાસણ ગામે આવેલી સત્યમ ન્યુટ્રેક્ટ્સ લી. કંપનીમાં હેલ્પર તરીકે નોકરી કરી કરે છે. સોમવારે કંપનીમાંથી આઈસર ગાડીમાં માલ ભરીને અમદાવાદના સરખેજ ખાતે ખાલી કરવાનો હોવાથી જાલમસિંહ, વિક્રમસિંહ રાઠોડ અને ડ્રાઈવર આકાશ પટેલ નીકળ્યા હતા. દરમિયાન ચિલોડા, ગાંધીનગર થઈ તારાપુર બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ડ્રાઈવર અશોકે આઇસર પુરઝડપે હંકારી હતી.
ડ્રાઇવરે પૂરઝડપે ગાડી હંકારી થાંભલા સાથે અથડાવી
ગાડીની સ્પીડ વધુ હોવાથી ડ્રાઇવર અશોકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ગાડી ડિવાઇડરના થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી. આથી આઇસર ગાડીમાં બેઠેલા હેલ્પર વિક્રમસિંહને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે જાલમસિંહને સામાન્ય ઇજા અને ડ્રાઇવર અશોકને કોઈ ઇજા થઈ નહોતી. આ મામલે અડાલજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

