ગાંધીનગરના માણસા તાલુકામાં તસ્કરોનો આતંક જોવા મળ્યો છે. ઈટાદરા ગામના એક મંદિરમાં ચોરી કરવા ઘૂસેલા ત્રણ બુકાનીધારી તસ્કરો મંદિરના સીસીવીટી કેમેરામાં કેદ થતા મંદિરના માલિકના મોબાઇલમાં સાયરન વાગ્યું હતું. આથી માલિકે પોતાના ભાઈઓને તાત્કાલિક મંદિરે પહોંચવાનું કહ્યું હતું. જો કે, તસ્કરો મંદિરમાંથી આભૂષણોની ચોરી કરી ભાગી ગયા હતા. જ્યારે રસ્તામાં વહેલી પરોઢિયે દૂધ ભરવા જતાં દંપતીને ચપ્પુ બતાવીને સોનાની ચેઇન-બુટ્ટીની લૂંટ કરી બાઇક પર ફરાર થયા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, માણસા તાલુકાના ઈટાદરા ગામમાં ગોગાજી મહારાજનું મંદિર આવેલું છે. આ મંદિરમાં ભરતભાઈ પટેલે અત્યાધુનિક સીસીટીવી કેમેરા લગાવ્યા છે, જેનું લાઈવ ફૂટેજ મોબાઇલમાં જોઈ શકાય છે. તેમ જ સીસીટીવી સાથે જો કોઈ છેડછાડ કરે તો તરત જ તેમના મોબાઈલમાં એલર્ટ સાયરન વાગે છે. ગઈકાલે ભરતભાઈ ગાંધીનગરના કુડાસણમાં પોતાના ઘરે હતા. ત્યારે મોડી રાતે તેમના મોબાઈલમાં અચાનક સાયરન વાગ્યું હતું. આથી ચેક કરતા ઈટાદરા ગામના ગોગાજી મહારાજ મંદિરમાં 3 બુકાનીધારી તસ્કરો અંદર પ્રવેશ્યા હોવાની જાણ થઈ હતી. આથી ભરતભાઈએ પોતાના કુટુંબી ભાઈઓને આ અંગે જાણ કરી તરત જ મંદિરે જવા કહ્યું હતું.
મંદિરમાંથી 11.40 લાખનાં આભૂષણોની ચોરી
જો કે, બધા મંદિરે પહોંચે તે પહેલા જ તસ્કરો મંદિરમાંથી 11.40 લાખનાં આભૂષણોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. દરમિયાન રસ્તામાં વહેલી પરોઢિયે દૂધ ભરવા જતા એક દંપતીને ચપ્પુ બતાવી તસ્કરોએ તેમની સોનાની ચેઈન અને બુટ્ટી પણ લૂંટી લીધી હતી અને બાઇક પર ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

