પાકિસ્તાનમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. હકીકતમાં, પાકિસ્તાનમાં ટ્રેનની એક બોગીમાં આગ લાગી ગઈ, જેમાં સાત લોકોનું સળગીને મોત થઈ ગયું. મૃતકોમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. ઘટના સિંધ પ્રાંતની છે. ટ્રેનમાં આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે. ઘટના અંગેના અહેવાલો અનુસાર, આ ઘટના બુધવારે રાત્રે બની હતી જ્યારે કરાચીથી લાહોર જતી કરાચી એક્સપ્રેસ ટ્રેનના બિઝનેસ ક્લાસ કોચમાં આગ લાગી ગઈ.
રેલવે મંત્રાલયે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા
પાકિસ્તાન રેલ્વેના પ્રવક્તા મકસૂદ કુંડીએ કહ્યું કે તેઓ હજુ પણ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે બોગીમાં આગ કેવી રીતે લાગી. આગ લાગ્યા બાદ બોગીને ટ્રેનમાંથી અલગ કરી દેવામાં આવી હતી. કુંડીએ કહ્યું કે ત્રણ બાળકો અને એક મહિલા સહિત મૃતકોની સંખ્યા સાત પર પહોંચી ગઈ છે. રેલવે મંત્રાલયે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. રેલવે પ્રવક્તાએ જણાવ્યું કે બોગીમાં આગ લાગતાની સાથે જ ટ્રેનને ટંડો મસ્તી ખાન સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને લગભગ 40 મિનિટની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
પાકિસ્તાનમાં ટ્રેન અકસ્માતોનો ઘણો લાંબો ઈતિહાસ છે
પાકિસ્તાનમાં ટ્રેન અકસ્માતોનો ઈતિહાસ ઘણો લાંબો છે. તેનું કારણ એ છે કે પાકિસ્તાનમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર જૂનું છે અને ટ્રેક સિસ્ટમ પણ અપગ્રેડ નથી. જેના કારણે અહી અકસ્માતો થતા રહે છે. આ સાથે પાકિસ્તાનમાં ગરીબ લોકો ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ભોજન બનાવવા માટે ગેસનો ચૂલો પણ સાથે રાખે છે. જેના કારણે પણ પાકિસ્તાનમાં દુર્ઘટનાઓ ઘટે છે. 2019માં પણ ગેસ સ્ટોવ ફાટ્યા બાદ ટ્રેનમાં આગ લાગી હતી, જેમાં 74 લોકોના મોત થયા હતા.

