ગુજરાત હાઈકોર્ટમાં ટ્રાન્સજેન્ડર્સ માટે જાહેર સ્થળે અલગ ટોઇલેટની માગ કરતી અરજી કરવામાં આવી છે. આ અરજી બાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારને વ્યવસ્થા મુદ્દે જવાબ રજૂ કરવા નોટિસ પાઠવી છે. અરજદારે હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરી કે સ્વાચ્છ ભારત મિશન હેઠળ જાહેરાત બાદ પણ હજુ સુધી ટ્રાન્સજેન્ડર્સ માટે જાહેર માર્ગ પર અલગ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી નથી. આ મામલે આગામી 16 જૂને ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.
મીડિયા અહેવાલ અનુસાર, અરજી પર ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, ટ્રાન્સજેન્ડર્સ હોવું કોઈ અભિશાપ નથી. ટ્રાન્સજેન્ડર્સ સમુદાય સાથે આ પ્રકારનું વર્તન યોગ્ય નથી. હાઈકોર્ટમાં કરાયેલી આ અરજી સાથે થર્ડ જેન્ડર વ્યક્તિઓ માટે જાહેર સ્થળ પર અલગ શૌચાલયની માગ કરાઈ છે. જણાવી દઈએ કે, આ પહેલા દિલ્હીની હાઈકોર્ટમાં પણ આ પ્રકારની અરજી કરવામાં આવી છે, જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારને જવાબ આપવા આદેશ કરાયો છે.
દિલ્હીમાં 500 ટોયલેટ બાંધવા આદેશ
દિલ્હીમાં આવા 500 જેટલા ટોયલેટ બાંધવા હુકમ કરાયો છે. જ્યારે 12 જેટલા ટોઇલેટ્સનું નિર્માણ પણ થઈ ચૂક્યું છે. જાહેર સ્થળ પર ટ્રાન્સજેન્ડર્સ માટે ગુજરાતમાં કોઈ અલગ ટોયલેટની વ્યવસ્થા ન હોવાથી તેમને કોમન ટોયલેટમાં જવાની ફરજ પડે છે. હોટેલોમાં પણ કોમન ટોયલેટ હોય છે. પરંતુ, મહિલાઓ અને પુરુષોની જેમ ટ્રાન્સજેન્ડર માટે કોઈ અલગ વ્યવસ્થા હોતી નથી. આ મુદ્દે હવે 16 જૂને વધુ સુનવણી હાથ ધરવામાં આવશે.

