ડમીકાંડ પ્રકાશમાં આવ્યા બાદ હવે માધ્યમિક શિક્ષણ બોર્ડ એક્શન મોડમાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે. માહિતી છે કે, ડમી કાંડ મામલે શિક્ષણ બોર્ડના ચેરમેને ભાવનગરના SP સાથે વાત કરી છે અને સાથે જ શિક્ષણ બોર્ડની બેઠકમાં પણ ડમીકાંડને લઈને મહત્ત્વની ચર્ચા કરવામાં આવી છે.
મીડિયા અહેવાલ મુજબ, ડમીકાંડને લઈ થયેલી શિક્ષણ બોર્ડની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે ડમીકાંડ મુદ્દે 3 વર્ષ સુધી ઉમેદવાર પરીક્ષા આપી શકશે નહીં. તેમ જ ડમી પરીક્ષાર્થીઓના પરિણામ પણ બ્લોક કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ડમીકાંડ મામલે વધુ બે આરોપી મિલન બારૈયા અને વિરમદેવસિંહ ગોહિલની ધરપકડ કરવામાં આવી છે. જણાવી દઈએ કે, અત્યાર સુધી આ કેસમાં ભાવનગર પોલીસે કુલ 8 આરોપીઓને પકડ્યા છે.
અત્યાર સુધી કુલ 40 આરોપીની ધરપકડ
આરોપી મિલનની પૂછપરછમાં મોટા ખુલાસા સામે આવ્યા છે. તેણે 7થી વધુ વખત ડમી તરીકે પરીક્ષા આપી હોવાની માહિતી મળી છે. ધો. 10 અને 12 સ્પર્ધાત્મક પરીક્ષાઓ ડમી તરીકે આપી હોવાની વિગતો મળી છે. ઉપરાંત, ડમી તરીકે પરીક્ષા આપવા માટે તે રૂ. 25 હજાર લેતો હોવાનું પણ જણાયું છે. જ્યારે આરોપી વિરમદેવસિંહ એસટી વિભાગમાં ફરજ બજાવે છે. આરોપી શરદના કહેવાથી વર્ષ 2017માં વિરમદેવના નામે એક ડમી ઉમેદવારોએ ગ્રામસેવકની પરીક્ષા આપી હતી. અત્યાર સુધી ડમી કાંડમાં કુલ 40 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

