સોશિયલ મીડિયા પર જાણીતી કીર્તિ પટેલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. સુરતના કામરેજમાં કીર્તિ પટેલ અને તેના 14 જેટલા સાગરિતોએ કાયદેસર જતી ગાયો ભરેલી બે ટ્રક રોકીને તેના ડ્રાઇવરોને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. મારામારીની આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, બે આઇશર ટ્રક ગાયો ભરીને રાતના લગભગ 12.30થી 1 વાગ્યા દરમિયાન ટોલનાકાથી કામરેજ જતા રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે કીર્તિ પટેલ અને તેના સાગરિતોએ બંને ટ્રકને રોકી હતી અને તેના ડ્રાઇવર માગભાભાઇ વકાતર અને ફાલ્ગુનભાઇ પરમારને નીચે ઉતારી, ‘ગાયો કતલખાને લઇ જાઓ છો’ તેમ કહી અપશબ્દો બોલ્યા હતા અને ગડદા-પાટુનો માર માર્યો હતો. આ સાથે ‘બીજીવાર આ બાજુ આવશો તો તાપીમાં નાખી દઇશું’ તેવી ધમકી પણ આપી હતી.
તપાસમાં ગાયો કાયદેસર હોવાનું જણાયું
આ મામલે જ્યારે કામરેજ પોલીસને જાણ થઈ તો પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે, પોલીસને જોઈ તમામ લોકો ફરાર થઈ ગયા હતા. પોલીસે તપાસ કરતા ગાયો કાયદેસર હોવાનું જણાયું હતું. આ ઘટનાનો વીડિયો વાઈરલ થતાં કામરેજ પોલીસના હેડ કોન્સ્ટેબલે કીર્તિ પટેલ સહિત શૈલેષ મેર, દિનેશ દેસાઇ, મેહુલ આહીર ઉર્ફે રાઉ ડી આહીર અને વિશ્મ ભરવાડ સામે માર મારવા અને જાનથી મારી નાખવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

